Classical language status: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રિમંડળે મરાઠી, પાલી, પ્રાકૃત, આસામી અને બંગાળી ભાષાઓને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવાની મંજૂરી આપી છે. શાસ્ત્રીય ભાષાઓ ભારતના ઊંડા અને પ્રાચીન સાંસ્કૃતિક વારસાના સંરક્ષક તરીકે સેવા આપે છે, જે દરેક સમુદાયના ઐતિહાસિક અને સાંસ્કૃતિક સીમાચિહ્નનો સાર રજૂ કરે છે.


ભારત સરકારે 12 ઓક્ટોબર 2004ના રોજ "શાસ્ત્રીય ભાષાઓ" તરીકે ભાષાઓની નવી શ્રેણી બનાવવાનો નિર્ણય લીધો હતો, તમિળને શાસ્ત્રીય ભાષા જાહેર કરી અને શાસ્ત્રીય ભાષાના દરજ્જા માટે નીચેના માપદંડો નક્કી કર્યા હતા:



  1. તેના પ્રારંભિક ગ્રંથો/નોંધાયેલા ઇતિહાસની હજાર વર્ષથી વધુની ઉચ્ચ પ્રાચીનતા.

  2. પ્રાચીન સાહિત્ય/ગ્રંથોનો સંગ્રહ, જેને વક્તાઓની પેઢીઓ દ્વારા મૂલ્યવાન વારસો માનવામાં આવે છે.

  3. સાહિત્યિક પરંપરા મૂળભૂત હોવી જોઈએ અને અન્ય વાણી સમુદાય પાસેથી ઉધાર લીધેલી ન હોવી જોઈએ.


નવેમ્બર 2004માં સંસ્કૃતિ મંત્રાલય દ્વારા સાહિત્ય અકાદમી હેઠળ એક ભાષાશાસ્ત્રીય નિષ્ણાત સમિતિ (LEC)ની રચના કરવામાં આવી હતી જે શાસ્ત્રીય ભાષાના દરજ્જા માટે પ્રસ્તાવિત ભાષાઓની તપાસ કરશે.


નવેમ્બર 2005માં માપદંડોમાં સુધારો કરવામાં આવ્યો હતો અને સંસ્કૃતને શાસ્ત્રીય ભાષા જાહેર કરવામાં આવી હતી:



  1. તેના પ્રારંભિક ગ્રંથો/નોંધાયેલા ઇતિહાસની 1500 2000 વર્ષના સમયગાળા દરમિયાન ઉચ્ચ પ્રાચીનતા.

  2. પ્રાચીન સાહિત્ય/ગ્રંથોનો સંગ્રહ, જેને વક્તાઓની પેઢીઓ દ્વારા મૂલ્યવાન વારસો માનવામાં આવે છે.

  3. સાહિત્યિક પરંપરા મૂળભૂત હોવી જોઈએ અને અન્ય વાણી સમુદાય પાસેથી ઉધાર લીધેલી ન હોવી જોઈએ.

  4. શાસ્ત્રીય ભાષા અને સાહિત્ય આધુનિકથી અલગ હોવાથી, શાસ્ત્રીય ભાષા અને તેના પછીના સ્વરૂપો અથવા તેના અવશેષો વચ્ચે અસાતત્ય પણ હોઈ શકે છે.


2013માં મહારાષ્ટ્ર સરકાર તરફથી મંત્રાલયમાં મરાઠીને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવાની વિનંતી કરતો પ્રસ્તાવ મળ્યો હતો, જે LEC ને મોકલવામાં આવ્યો હતો. LEC એ મરાઠીની શાસ્ત્રીય ભાષા માટે ભલામણ કરી હતી. 2017માં મરાઠી ભાષાને શાસ્ત્રીય દરજ્જો આપવા માટે કેબિનેટ માટેની ડ્રાફ્ટ નોંધ પર આંતર મંત્રાલયીન પરામર્શ દરમિયાન, MHAએ માપદંડોને સુધારવા અને તેને વધુ કડક બનાવવાની સલાહ આપી હતી. PMOએ તેની ટિપ્પણી દ્વારા જણાવ્યું હતું કે મંત્રાલય એ જાણવા માટે કવાયત કરી શકે છે કે અન્ય કેટલી ભાષાઓ લાયક બનવાની સંભાવના છે.


દરમિયાન, બિહાર, આસામ, પશ્ચિમ બંગાળ તરફથી પાલી, પ્રાકૃત, આસામી અને બંગાળીને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવાનો પ્રસ્તાવ પણ મળ્યો હતો.


તદનુસાર, ભાષાશાસ્ત્રીય નિષ્ણાત સમિતિ (સાહિત્ય અકાદમી હેઠળ) એ 25.07.2024ની બેઠકમાં સર્વસંમતિથી નીચે મુજબ માપદંડોમાં સુધારો કર્યો. સાહિત્ય અકાદમીને LEC માટે નોડલ એજન્સી તરીકે નિયુક્ત કરવામાં આવી છે.


સમિતિએ નીચેની ભાષાઓને શાસ્ત્રીય ભાષા તરીકે ગણવા માટેના સુધારેલા માપદંડોને પૂર્ણ કરતી હોવાની પણ ભલામણ કરી:



  1. મરાઠી

  2. પાલી

  3. પ્રાકૃત

  4. આસામી

  5. બંગાળી


શિક્ષણ મંત્રાલયે શાસ્ત્રીય ભાષાઓને પ્રોત્સાહન આપવા માટે વિવિધ પગલાં લીધા છે. સંસ્કૃત ભાષાના પ્રચાર માટે 2020માં સંસદના એક અધિનિયમ દ્વારા ત્રણ કેન્દ્રીય યુનિવર્સિટીઓની સ્થાપના કરવામાં આવી હતી. પ્રાચીન તમિળ ગ્રંથોના અનુવાદને સુવિધાજનક બનાવવા, સંશોધનને પ્રોત્સાહન આપવા અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને તમિળના ભાષા વિદ્વાનો માટે અભ્યાસક્રમો ઓફર કરવા માટે સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્લાસિકલ તમિળની સ્થાપના કરવામાં આવી હતી. શાસ્ત્રીય ભાષાઓના અભ્યાસ અને સંરક્ષણને વધુ વેગ આપવા માટે, મૈસૂરમાં સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયન લેંગ્વેજીસના નેજા હેઠળ શાસ્ત્રીય કન્નડ, તેલુગુ, મલયાલમ અને ઓડિયા અભ્યાસ માટેના ઉત્કૃષ્ટતા કેન્દ્રોની સ્થાપના કરવામાં આવી હતી. આ પહેલો ઉપરાંત, શાસ્ત્રીય ભાષાઓના ક્ષેત્રમાં સિદ્ધિઓને માન્યતા આપવા અને પ્રોત્સાહિત કરવા માટે કેટલાક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પુરસ્કારોની સ્થાપના કરવામાં આવી છે. શિક્ષણ મંત્રાલય દ્વારા શાસ્ત્રીય ભાષાઓને આપવામાં આવેલા લાભોમાં શાસ્ત્રીય ભાષાઓ માટે રાષ્ટ્રીય પુરસ્કારો, યુનિવર્સિટીઓમાં અધ્યક્ષ પદો અને શાસ્ત્રીય ભાષાઓના પ્રચાર માટેના કેન્દ્રોનો સમાવેશ થાય છે.


શાસ્ત્રીય ભાષા તરીકે ભાષાઓનો સમાવેશ નોંધપાત્ર રોજગારીની તકો ઊભી કરશે, ખાસ કરીને શૈક્ષણિક અને સંશોધન ક્ષેત્રોમાં. વધુમાં, આ ભાષાઓના પ્રાચીન ગ્રંથોનું સંરક્ષણ, દસ્તાવેજીકરણ અને ડિજિટાઇઝેશન આર્કાઇવિંગ, અનુવાદ, પ્રકાશન અને ડિજિટલ મીડિયામાં નોકરીઓ ઉત્પન્ન કરશે.


આ પણ વાંચોઃ


હરિયાણામાં કોંગ્રેસે આખી બાજી જ પલટી નાખી? ભાજપ માટે આ મુદ્દો જ ખતમ થઈ ગયો!