મુંબઈ: મહારાષ્ટ્રમાં 30 ડિસેમ્બરે કેબિનેટનું વિસ્તરણ થશે. સૂત્રોની જાણકારી અનુસાર એનસીપીના અજીત પવારને નાણામંત્રી બનાવવામાં આવી શકે છે. આ પહેલા અજીત પવારને ઉપમુખ્યમંત્રી બનાવાય તેવી અટકળો ચાલતી હતી. ઉદ્ધવ ઠાકરે સરકારના કેબિનેટ વિસ્તરણમાં આશરે 36 ધારાસભ્યો મંત્રી પદના શપથ લઈ શકે છે.


અજીત પવાર 2014 પહેલાં કોંગ્રેસ-એનસીપીના શાસનમાં બે વખત ઉપમુખ્યમંત્રી બન્યા હતા. ચાલુ વર્ષે અજિત પવારે 23 નવેમ્બરે બળવો કરી ભાજપ સાથે હાથ મિલાવ્યા બાદ દેવેન્દ્ર ફડણવીસની સરકારમાં ઉપમુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. જોકે અજિત પવારે અંગત કારણો આગળ કરી રાજીનામું આપ્યા બાદ કલાકોમાં જ દેવેંદ્ર ફડણવીસની સરકાર પડી ગઈ હતી.

કેબિનેટના વિસ્તરણની ચર્ચા માટે મુખ્ય પ્રધાન ઉદ્વવ ઠાકરે અને એનસીપી પ્રમુખ શરદ પવાર વચ્ચે થોડા દિવસો પહેલા સહ્યાદ્રી ગેસ્ટ હાઉસમાં લગભગ એક કલાક સુધી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.