મુંબઈ: મહારાષ્ટ્રમાં મંત્રિમંડળના વિસ્તરણ બાદ હવે મંત્રીઓને ઑફિસની ફાળવણી કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. સરકારના મંત્રીઓના ઑફિસ રાજ્ય મંત્રાલયના પરિસરમાં બન્યા છે. પરંતુ મંત્રાલયના છઠ્ઠા માળે એક એવી ઑફિસ પણ છે જેમાં કોઈ પણ મંત્રી બેસવા માંગતા નથી. આ ઓફિસ કેબિન નંબર 602ના નામથી ઓળખાય છે.


ઓફિસમાં તમામ પ્રકારની સુવિધાઓ આપવામાં આવી છે. મંત્રાલયની આ ઓફિસ ખૂબજ હાઈટેક છે. તેમ છતાં કોઈ મંત્રી બેસવા તૈયાર નથી. કેટલાક મંત્રીઓ તો આ ઓફિસ પોતાને ન આપવામાં આવે તે માટે મંત્રાલયના પ્રશાસન વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે ગોઠવણ પણ કરવામાં લાગેલા છે.

વાસ્તવમાં આ ઓફિસ સાથે એક અંધવિશ્વાસ જોડાયેલો છે. જેના કારણે કોઈ પણ મંત્રી તેમાં બેસવા તૈયાર નથી. ઑફિસ વિશે એવી ધારણા છે કે, જે કોઈ મંત્રી આ ઓફિસમાં બેસે છે તે પોતાનો કાર્યકાળ પૂરો કરી શક્યો નથી. એવામાં કેબિન સાથે જોડાયેલા કેટલાક કિસ્સાઓ પણ ચર્ચામાં છે.

આ ઑફિસ વિશે કહેવામાં આવે છે કે, એક સમયે આ ઑફિસને મહારાષ્ટ્ર સરકરાનનું સૌથી મજબૂત કેન્દ્ર માનવામાં આવતું હતું. અહીં મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રી અને સત્તાના સીનિયર અધિકારીઓ બેસતા હતા, પરંતુ આજે સ્થિતિ તેવી નથી. કોઈ પણ આ ઓફિસમાં બેસવા તૈયાર નથી. જો કે આ વખતે તમામ ઓફિસોની સાથે તેને પણ વ્યવસ્થિત કરવામાં આવી છે.

કેબિન નંબર 602 સાથે જોડાયેલા કિસ્સાની વાત કરીએ તો, આ ઑફિસને 2014માં ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેબિનેટ મંત્રી એકનાથ ખડસેને આપવામાં આવી હતી. તેઓ સરકારમાં કૃષિ, મહેસુલ અને લઘુમતી કલ્યાણ જેવા મહત્વપૂર્ણ વિભાગોમાં જવાબદારી સંભાળતા હતા. કાર્યકાળના બે વર્ષ બાદ ખડસે પર ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા અને તેમણે મંત્રી પદ પરથી રાજીનામું આપવું પડ્યું.

ખડસેના રાજીનામા બાદ ઓફિસ ઘણા દિવસો સુધી ખાલી રહ્યું. બાદમાં નવા કૃષિમંત્રી પાંડુરંગ ફુંડકરને આ ઑફિસ ફાળવવામાં આવી, બે વર્ષ બાદ તેમનું હાર્ટ એટેકના કારણે અવસાન થયું હતું.

વર્ષ 2019માં ભાજપ નેતા અનિલ બોંડેને આ મંત્રાલયના પ્રભારી બનાવાયા હતા. પરંતુ તેઓ આ વર્ષે ચૂંટણી હારી ગયા હતા અને રાજ્યમાં ભાજપની સરકાર પણ નથી બની. એવામાં આ ઑફિસને લઈને અફવાએ જોર પકડ્યું છે. સ્તિથિ એવી ઉભી થઈ શકે તે ઓફિસમાં કોઈ બેસવા તૈયાર નથી અને અત્યાર સુધી ઓફિસ કોઈને ફાળવવામાં આવી નથી.