નવી દિલ્હીઃ કેન્દ્રની મોદી સરકારે દિવાળી પહેલા ખેડૂતોને મોટી ભેટ આપી છે. બુધવારે કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક મળી, જેમાં સરકારે ચાલુ નાણાંકીય વર્ષ 2019-20ની આગામી રવી પાક માટે એમએસપીમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. એમએસપી એટલે લઘુતમ ટેકાના ભાવમાં વધારો કરવાથી ખેડૂતોને મોટો ફાયદો થશે. ઘઉંની એમએસપી 85 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ વધારવામાં આવી છે. જ્યારે દાળની એમસપીમાં સરકારે 325 રૂપિયાનો વધારો કર્યો છે. આ વધારા બાદ સરકાર પર વધારાનો 3000 કરોડ રૂપિયાનો બોજો પડશે.


ઘઉંની MSP 85 રૂપિયા વધારી 1925 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરી દેવામાં આવી છે. જવની MSP પણ 85 રૂપિયા વધારી 1525 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થઈ ગઈ છે. સરકારે દાળની ખેતીને પ્રોત્સાહિત કરવા માટે મસૂરની દાળનો ટેકાનો ભાવમાં 325 રૂપિયા વધારી 4800 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કર્યો છે. ગત વર્ષે 4475 રૂપિયા હતા.

એજ રીતે ચણાની MSP 255 રૂપિયા વધારી 4875 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થઈ ગઈ છે, જે ગત વર્ષે 4620 રૂપિયા હતી. સરસોના ટેકાના ભાવમાં 225 રૂપિયાનો વધારો કરી 4425 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કર્યો છે. જ્યારે સૂરજ મુખીનું સમર્થન મૂલ્ય 270 રૂપિયા વધારી 5215 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થઈ ગયું છે.