નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસની મહામારીને ધ્યાનમાં રાખતાં લોકડાઉન લંબાવવામાં આવ્યું હતું જે હવે ત્રીજી મેએ પૂર્ણ થાય છે. જોકે આ પહેલા કેન્દ્ર સરકાર મોટો નિર્ણય લઈ શકે છે. ત્યારે આજે દેશના ઘણાં રાજ્યોના મુખ્યમંત્રીની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેઠક યોજી હતી જે પૂર્ણ થઈ ગઈ છે. હવે 29 એપ્રિલે એટલે બુધવારે કેબિનેટની બેઠકમાં લોકડાઉનની ચર્ચા કરવામાં આવશે.


કહેવામાં આવી રહ્યું છે કે, કેબિનેટ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકડાઉનને લઈને મોટો નિર્ણય લેશે. આજે પીએમ મોદીએ રાજ્યોના મુખ્યમંત્રીઓને કહ્યું હતું કે, લોકડાઉનથી દેશને ફાયદો થઈ રહ્યો છે. પીએમે એ પણ કહ્યું હતું કે, કોરોના વાયરસ પ્રકોપની વચ્ચે ભારતની સ્થિતિ બાકી દેશો કરતાં બહુ સારી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો આર્થિક ગતિવિધિઓ વધારવા અને લોકોને રાહત આપવા માટે અલગ-અળગ વિસ્તારોમાં છૂટ આપવામાં આવી રહી છે.

લોકડાઉન ચાલુ રાખવા માગે છે ઘણાં રાજ્યો

કહેવામાં આવી રહ્યું છે કે, દેશના ઘણાં રાજ્યો લોકડાઉનને ત્રણ મે પછી પણ ચાલુ રાખવા માટે તૈયાર છે. આજે બેઠક દરમિયાન દેશને લોકડાઉનને તબક્કાવાર રીતે બહાર લાવવા માટે ઉપાયો પર પણ ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં મેઘાલયના મુખ્યમંત્રી કોનાર્ડ સંગમાએ રાજ્યમાં ત્રણ મે બાદ પણ લોકડાઉનને લંબાવવાની વાત કરી હતી.

કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે પીએમ મોદીએ દેશમાં 25 માર્ચે બે તબક્કામાં લોકડાઉન લાગુ કર્યું હતું. જોમાં પહેલા તબક્કામાં 24 માર્ચે 21 દિવસ માટે અને બીજા તબક્કામાં 14 એપ્રિલે 3 મે સુધી લોકડાઉનની જાહેરાત કરી હતી.