નવી દિલ્હીઃ જમ્મુ કાશ્મીરમાં એલઓસી પર પાકિસ્તાન તરફથી સંઘર્ષ વિરામના ભંગની ઘટના આ વર્ષે નવ મહિના દરમિયાન પાંચ વર્ષમાં સૌથી વધુ બની છે. ભારતીય સૈન્યના આંકડાઓ અનુસાર, પાકિસ્તાને જમ્મુ કાશ્મીરમાં 2 ઓક્ટોબર સુધી 2225 વખત સંઘર્ષ વિરામનો ભંગ કર્યો છે જેનો અર્થ થયો કે આ સમયગાળા દરમિયાન પાકિસ્તાને એક દિવસમાં સરેરાશ આઠ વખત સંઘર્ષ વિરામનો ભંગ કર્યો છે. આંકડાઓ અનુસાર, તેની તુલનામાં 2018માં આખા વર્ષ દરમિયાન પાકિસ્તાન દ્ધારા સંઘર્ષ વિરામના ભંગની કુલ ઘટનાઓ 1629 હતી.

એક સંરક્ષણ અધિકારીએ કહ્યું કે, પાકિસ્તાને આ વર્ષે ફેબ્રુઆરીમાં બાલાકોટ એરસ્ટ્રાઇક બાદ સંઘર્ષ વિરામનો ભંગ વધાર્યો છે અને પછી ઓગસ્ટમાં જમ્મુ  કાશ્મીરનો વિશેષ રાજ્યનો દરજ્જો ખત્મ કર્યા બાદ સંઘર્ષ વિરામની ઘટનાઓ વધારી દીધી છે. સંઘર્ષ વિરામનો ભંગથી વધુ મામલા પાકિસ્તાન દ્ધારા જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓની ઘૂસણખોરી કરાવવાના પ્રયાસ સાથે જોડાયેલી છે. ગુપ્ત રિપોર્ટ અનુસાર, પાકિસ્તાનના જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તોઇબાના આતંકવાદીઓને નિયંત્રણ રેખા પર ઘૂસણખોરી માટે તક મળે તે માટે ભારતીય ક્ષેત્રમાં ઘૂસણખોરી કરાવવાનો પ્રયાસ કરવામાં આવે છે.

સેનાના સૂત્રોના મતે ભારતે તમામ સીઝફાયરનો જડબાતોડ જવાબ આપ્યો છે. એલઓસી પર ભારતીય ચોકીઓ પર બોર્ડર એક્શન ટીમના હુમલાઓના અંજામ આપવાના પ્રયાસને નિષ્ફળ બનાવ્યા છે. સૈન્ય આંકડાઓ અનુસાર, 2018માં આખા વર્ષ દરમિયાન 318ની સરખામણીએ 2 ઓક્ટોબર સુધી એલઓસી પાસે અને જમ્મુ કાશ્મીરના આંતરિક વિસ્તારોમાં 123 આતંકવાદી ઘટનાઓ થઇ છે. સૈન્યએ 2018માં 254 અને 2017માં 213ની સરખામણીએ આ વર્ષે 2 ઓક્ટોબર સુધી 140 આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે.