નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરના અલગાવવાદીઓ પર મોદી સરકારે જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રન્ટ (જેકેએલએફ) ઉપર આતંક વિરોધી કાનૂન પ્રમાણે પ્રતિબંધ મુકી દીધો છે. કેન્દ્રનો આ નિર્ણય અલગાવવાદીઓ ઉપર મોટી કાર્યવાહીના રૂપમાં જોવામાં આવે છે. કેબિનેટની સુરક્ષા સમિતિની બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે. અલગાવવાદી નેતા યાસીન મલિક જેકેએલએફનો પ્રમુખ છે.


કેંદ્રીય ગૃહ સચિવ રાજીવ ગાબાએ પત્રકાર પરિષદમાં કહ્યું, કેંદ્ર સરકારે આજે ગેરકાનૂની ગતિવિધિ અધિનયમ 1967 મુજબ જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રન્ટને ગેરકાનૂની એસોશિએશન જાહેર કર્યું છે. આ પગલા સરકાર તરફથી આતંકવાદ સામે જીરો ટોલરેન્સની નીતિ મુજબ ઉઠાવવામાં આવ્યા છે.


જેકેએલએફ ઉપર આતંકી ગતિવિધિઓને સમર્થન કરવાનો આરોપ લાગતો રહ્યો છે. ઇડી પણ આ મામલે છેલ્લા ઘણા દિવસોથી જમ્મુ કાશ્મીરમાં છાપેમારી કરી રહ્યું છે. જેમા યાસીન મલિકના સ્થળો ઉપર પણ છાપેમારી કરી હતી. યાસીન મલિકની ગણતરી એ અલગાવવાદી નેતાઓમાં થાય છે, જે કાશ્મીર ખીણમાં ભારત વિરોધી ગતિવિધિઓને પ્રોત્સાહન આપે છે. તે કાશ્મીર ખીણમાં તિરંગા વિરૂદ્ધ અભિયાન ચલાવે છે.