નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે  પેદા થયેલી મુશ્કેલ સ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે 4.07 કરોડ ગરીબ મહિલાઓના જનધન બેન્ક એકાઉન્ટમાં રાહત પેકેજના રૂપમાં શુક્રવારે 30 હજાર કરોડ રૂપિયા મોકલ્યા છે. તે સિવાય કેન્દ્રએ ઉજ્જવલા યોજના હેઠળ એલપીજી કનેક્શન ધરાવતા આઠ કરોડ ગરીબ પરિવારોના લિંક એકાઉન્ટમાં 5000 કરોડ રૂપિયા નાખ્યા છે.


સરકારી સૂત્રોના મતે કોરોના વાયરસના કારણે દેશભરમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જેને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે 4.07 કરોડ ગરીબ મહિલાઓના જનધન એકાઉન્ટમાં 500-500 રૂપિયાનો પ્રથમ હપ્તો જમા કરાવ્યો છે. સરકારે બેન્કોને આદેશ આપ્યો છે કે આ યોજના હેઠળ કોઇ પણ લાભાર્થી બાકી ના રહી જાય. આ રકમ નવ એપ્રિલ સુધી મહિલાઓના એકાઉન્ટમાં પહોંચશે.

નોંધનીય છે કે 21 દિવસના લોકડાઉનને જોતા નાણામંત્રી નિર્મલા સીતારમણે 26 માર્ચના રોજ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાની જાહેરાત કરી હતી. તે સિવાય ઉજ્જવલા યોજના હેઠળ ત્રણ સિલિન્ડરની ખરીદી માટે કેન્દ્ર સરકારે 5000 કરોડ રૂપિયાનું ફંડ આઠ કરોડ ગરીબ પરિવારોના લિંક એકાઉન્ટમાં જમા કરાવ્યું છે.