નવી દિલ્હીઃ ભારતના મહાત્વાકાંક્ષી ચંદ્રયાન-2 ચંદ્રની કક્ષામાં 20 ઓગસ્ટના રોજ પહોંચશે. ત્યારબાદ સાત સપ્ટેમ્બરના રોજ ચંદ્રયાન ચંદ્રની સપાટી પર ઉતરશે. આ જાણકારી સોમવારે ભારતની સ્પેસ એજન્સી ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો)ના ચેરમેન ડો કે સિવને આપી હતી. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે  કહ્યું કે ચંદ્રયાન આગામી બે દિવસમાં ધરતીની કક્ષા છોડી દેશે. સિવને ડોક્ટર વિક્રમ સારાભાઇની જન્મશતાબ્દીના અવસર પર અહી એક  કાર્યક્રમમાં ભાગ લીધો હતો. વિક્રમ સારાભાઇને ઇસરોના જનક માનવામાં આવે છે.

સિવને ચંદ્રયાનની ગતિવિધિઓ અંગે કહ્યું કે ચંદ્રયાન-2ના રોજ 22 જૂલાઇના રોજ લોન્ચ બાદ હવે તે ધરતીની આસપાસ ચક્કર કાપી રહ્યું છે. બુધવારે સવારે અમે એક ખાસ મુવમેન્ટ કરવાના છીએ. 14 ઓગસ્ટના રોજ સવારે લગભગ સાડા ત્રણ વાગ્યે અમે ટ્રાન્સલૂનર ઇજેક્શન નામનું મુવમેન્ટ કરીશું. જેનાથી ચંદ્રયાન-2 ધરતીને છોડીને ચંદ્ર તરફ આગળ વધશે. 20 ઓગસ્ટના રોજ યાન ચંદ્રની નજીક પહોંચી જશે. સિવને કહ્યું કે, અંતમાં સાત સપ્ટેમ્બરના રોજ ચંદ્રયાન ચંદ્રની દક્ષિણી ધ્રુવ પર લેન્ડ કરશે. વર્તમાનમાં ચંદ્રયાન-2 ખૂબ સારું પ્રદર્શન કરી રહ્યું છે અત્યાર સુધીમાં તેની સિસ્ટમ કામ કરી રહી છે.