ચેન્નઈઃ કોવિડ-19ની બીમારીથી સાજા થઈ જનારા તબલીગી જમાતના સભ્યોએ પ્લાઝમા ડોનેટ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આ માટે તેમણે હોસ્પિટલ અને જિલ્લા તંત્રનો સંપર્ક કર્યો છે. દિલ્હીથી તમિલનાડુ પરત આવેલા આશરે 42 લોકોની કોવિડ-19ની સારવાર ચાલી રહી હતી. સાજા થયા બાદ તેમણે કોવિડ-19 પીડિતોની મદદ કરવાનો ફેંસલો કર્યો છે.


જમાતના સભ્યોએ તેમના પર લાગેલા આરોપો દૂર કરી શકાય તે માટે પ્લાઝમા ડોનેટ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. કોયંબટૂરની ઈએસઆઈ હોસ્પિટલમાંથી રવિવારે ડિસ્ચાર્જ થયેલા ત્રિરુપ્પુરના કારોબારી મોહમ્મદ અબ્બાસે જણાવ્યું, મેં જિલ્લા તંત્ર અને હોસ્પિટલ ડીનને મળીને પ્લાઝમાની જરૂર હોય તો મારો સંપર્ક કરવા જણાવ્યું છે. તેણે કહ્યું, જે દિવસે મને હોસ્પિટલમાંથી રજા મળી તે દિવસે મે જમાતના કેટલા સભ્યોને વાત કરી હતી. તેમણે પણ પ્લાઝમા ડોનેટ કરવા સહમતિ વ્યકત કરી હતી.

થેનીના મોહમ્મદ ઉસ્માન અલીમાં કોરોના લક્ષણ જણાતા નહોતા પરંતુ જમાતના કહેવા પર કોરોના ટેસ્ટ કરાવ્યો. તપાસ દરમિયાન પોઝિટિવ આવ્યાની પુષ્ટિ થઈ હતી. તેણે કહ્યું, કોવિડ-19ને હરાવ્યા બાદ જો સરકાર બોલાવશે તો અમે પ્લાઝમા ડોનેટ કરવા પણ તૈયાર છીએ. સમગ્ર રાજ્યમાં અમારા સંપર્કમાં રહેલા તબલીગી જમાતના આશરે 42 લોકોએ આવી ઈચ્છા વ્યક્ત કરી છે.

ભારતમાં અત્યાર સુધીમાં કુલ 21,393 લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચુક્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ 681 લોકોના મોત થયા છે. જ્યારે 4257 લોકો ડિસ્ચાર્જ થઈ ચુક્યા છે. ઉપરાંત 16454 એક્ટિવ કેસ છે.