નવી દિલ્હીઃ કોરોના વાયરસને લઇને દેશમાં ડરનો માહોલ છે ત્યારે તેની દવાને લઇને સારા સમાચાર આવ્યા છે. ભારતીય ફાર્માસ્યૂટિકલ કંપની સિપ્લાએ આગામી છ મહિનામાં કોરોના વાયરસની દવા બનાવી લેવાનો દાવો કર્યો છે. જો આમ થાય છે તો કોરોના વાયરસની દવા બનાવવાની સિપ્લા ભારતની પ્રથમ કંપની બની જશે.


વાસ્તવમાં ભારતીય દવા કંપની સિપ્લા અને સીએસઆઇઆર અને આઇઆઇસીટી સાથે મળીને કોરોનાની દવા બનાવી રહી છે. કંપની સરકારી લેબોરેટરીઓ સાથે મળીને કોરોનાની દવા વિકસિત કરવાની સાથે આ સંક્રમણમાં  શ્વાસ લેવામાં થઇ રહેલી તકલીફોમાં લેનારી દવા, અસ્થમામાં લેવાતી એન્ટી વાયરલ દવાઓ અને એચઆઇવીની દવાઓના ઉપયોગ પર પ્રયોગ કરી રહી છે. આ માટે સિપ્લાએ સીએસઆઇઆર અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ કેમિકલ્સ ટેકનોલોજી પાસે એપીઆઇ બનાવવામાં મદદ માંગી છે.

આઇઆઇસીટીના નિર્દેશક એસ ચંદ્રશેખર અને પ્રમુખ વૈજ્ઞાનિક પ્રથમ એસ મેનકરે કહ્યું કે, સિપ્લાના અધ્યક્ષ વાઇકે હામિદે તેમને એન્ટી વાયરસ કમ્પાઉન્ડ-ફેવિપિરાવીર, રેમેડિસવિર અને બોલેક્સેવિર તૈયાર કરવાના સંબંધમાં સંપર્ક કર્યો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક એન્ટી વાયરલ દવાઓની શોધ કરવામાં આવી હતી પરંતુ માંગમાં ઘટાડાના કારણે ક્લિનિકલ ટ્રાયલ બાદ રોક લગાવી દેવામાં આવી હતી.

ભારતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 298 કેસ નોંધાયા છે. જેમાંથી 39 વિદેશી છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 63 લોકો આ વાયરસથી સંક્રમિત છે. જો કે રાહતના સમાચાર એ છે કે આ વાયરસના ભરડામાં આવેલા 23 લોકો સારવાર બાદ એકદમ સ્વસ્થ પણ થઈ ગયા છે. આ વાયરસના કારણે દેશમાં અત્યાર સુધી ચાર લોકોના મોત થયા છે.