નવી દિલ્હીઃ રેલ મંત્રાલયે 21 સપ્ટેમબરથી 20 જોડી ક્લોન ટ્રેન ચલાવવાની જાહેરાત કરી છે. ભારતના રેલ નેટવર્કમાં ક્લોન ટ્રેન પ્રથમ વખત સામેલ કરવામાં આવશે. આ માટે રિઝર્વેશન 19 સપ્ટેમ્બરથી શરૂ થશે. રેલ મંત્રાલયે ચાલુ મહિનાની શરૂઆતમાં કહ્યું હતું કે, જે રૂટ પર વધારે ટ્રાફિક હશે ત્યાં વેઇટ લિસ્ટના આધારે ક્લોન ટ્રેન ચલાવાશે. ક્લોન ટ્રેન સ્પેશિયલ ટ્રેનની જેમ જ ઓપરેશનમાં સામેલ થશે પરંતુ તેના સ્ટોપેજ અને મુસાફરીનો સમય વિશેષ ટ્રેનોથી અલગ હશે.


મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું કે, કેટલાક રૂટ્સ પર મુસાફરોની ભારે માંગના કારણે 20 જોડી (40 ટ્રેન) ક્લોન સ્પેશિયલ ટ્રેન દોડાવાશે. આ ટ્રેન નોટિફાઈડ ટાઈમિંગ પર ચાલશે અને પૂરી રીતે રિઝર્વ હશે. તેના સ્ટોપ મર્યાદીત હશે. ઉપરાંત 10 દિવસ પહેલા જ ટ્રેનોનું રિઝર્વેશન મળવાનું શરૂ થશે. ગુજરાતમાંથી અમદાવાદ-દરભંગા, અમદાવાદ-દિલ્હી, સુરત-છાપરા, અમદવાદ-પટના એમ 4 રૂટ પર 8 ક્લોન ટ્રેન દોડશે.



મંત્રાલયના કહેવા મુજબ, ભારતીય રેલવેના ઈતિહાસમાં કયારેય ક્લોન ટ્રેન દોડાવવામાં આવી નથી. આ ટ્રેન મુખ્યત્વે એસી ટ્રેન હશે. ક્લોન ટ્રેનો ચલાવવાને લઈ મુસાફરોમાં મોટા પાયે પ્રચાર કરવામાં આવશે. આ ટ્રેન પહેલાથી ચાલી રહેલી સ્પેશિયલ ટ્રેનોની તુલનામાં વધારે સ્પીડથી દોડશે.



મંત્રાલયના કહેવા મુજબ, 20માંથી 19 જોડી ક્લોન ટ્રેનોનું ભાડું હમસફર એક્સપ્રેસ જેટલું હશે. જ્યારે લખનઉ-દિલ્હી ક્લોન સ્પેશિયલનું ભાડું જન શતાબ્દિ એક્સપ્રેસ જેટલું હશે. આ ઉપરાંત આ ટ્રેનોના સંચાલન માટે હમસફર અને જનશતાબ્દી ટ્રેનોનો જ ઉપયોગ કરાશે.