Covid 19: કેજરીવાલની પ્રવાસી શ્રમિકોને અપીલ, પગપાળા વતન ન જાઓ, ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે
એબીપી અસ્મિતા વેબ ટીમ | 10 May 2020 06:57 PM (IST)
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે અન્ય રાજ્યોમાં જઇ રહેલા શ્રમિકોને અપીલ કરી છે કે તેઓ પગપાળા પોતાના વતન ન જાય. કારણ કે, પ્રવાસી મજૂરો માટે ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
નવી દિલ્હી: કોરોના વાયરસને લઈને ચાલી રહેલા લોકડાઉન 3માં પણ પ્રવાસી મજૂરો પોતાના વતન જઈ રહ્યા છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે અન્ય રાજ્યોમાં જઇ રહેલા શ્રમિકોને અપીલ કરી છે કે તેઓ પગપાળા પોતાના વતન ન જાય. કારણ કે, પ્રવાસી મજૂરો માટે ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. અરવિંદ કેડરીવાલે કહ્યું હાલ પણ પ્રવાસી મજૂરો મજબૂરીમાં દિલ્હી છોડીને જવાની કોશિશ કરી રહ્યા છે. આ લોકો પગપાળા જઈ રહ્યા છે. ભૂખ્યા પેટે ઘણા કિલોમીટર સુધી ચાલે છે જે યોગ્ય નથી. તેમણે કહ્યું, મારૂ દિલ્હીમા પ્રવાસી મજૂરોને નિવેદન છે કે અમે તમારા માટે જમવાની સગવડતા કરી છે, છતા પણ તમે વતન જવા માંગો છો તો તેના માટે અમે કેંદ્ર સરકાર અને રાજ્ય સરકાર પાસે ટ્રેનને લઈને વાત કરી રહ્યા છીએ. ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં સતત વધી રહેલા કોરોનાના કેસ વચ્ચે પરપ્રાંતીય શ્રમિકોની મુશ્કેલી વધી છે. શ્રમિકો ચાલીને પોતાના વતન જવા માટે રવાના થયા. દિલ્હીના ધોળાકુવા વિસ્તારમાંથી શ્રમિકો પોતાના વતન જવા માટે નિકળ્યા હતા. શ્રમિકોનું કહેવુ છે કે, લોકડાઉનના કારણે રોજગારી છીનવાઈ છે અને ભોજન માટે પૈસા નથી. જેથી અમે વતન જઈ રહ્યા છીએ. દિલ્હીમાં મોટી સંખ્યામાં બિહાર, ઉત્તર પ્રદેશના શ્રમિકો વસવાટ કરે છે. જ્યારે લોકડાઉન સતત વધવાના કારણે શ્રમિકો વતનની વાટ પકડી રહ્યા છે.