પટના: આજે નીતિશ કુમારના નેતૃત્વમાં જેડીયૂની બેઠક મળી હતી પરંતુ આ બેઠકમાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રશાંત કિશોર નહોતા જોવા મળ્યા. એવામાં અટકળો ચાલી રહી છે કે પ્રશાંત કિશોર અને જેડીયૂ વચ્ચે બધુ ઠીક નથી. નીતીશ કુમારે કહ્યું, અમિત શાહના કહેવા પર પ્રશાંત કિશોરને જેડીયૂ પાર્ટીમાં સામેલ કર્યા હતા. જો તેઓ જવા ઇચ્છતા હોય તો જઇ શકે છે.


બિહારમાં ભાજપ અને JDU ગઠબંધન સત્તામાં છે પરંતુ પ્રશાંત કિશોર સતત CAA અને NRC વિરુદ્ધ નિવેદનો આપી રહ્યા છે. JDU નેતા પવન વર્મા પણ દિલ્હીમાં ભાજપ સાથે ગઠબંધનનો વિરોધ કરી રહ્યા છે. નીતિશના નિવેદન પર પ્રશાંત કિશોરે કહ્યું કે તેઓ બિહાર જઇને તેમને જવાબ આપશે.

નીતિશ કુમારે કહ્યું, કોઇને અમે પાર્ટીમાં થોડા લાવ્યા છીએ. અમિત શાહના કહેવા પર મેં પ્રશાંત કિશોરને પાર્ટીમાં સામેલ કરાવ્યા હતા. અમિત શાહે મને કહ્યું હતું કે પ્રશાંતને પાર્ટીમાં સામેલ કરી લો. હવે જો તેઓ જવા ઇચ્છતા હોય તો જઇ શકે છે. પરંતુ જો તેમને JDU સાથે રહેવું હોય તો પાર્ટીના સિદ્ધાંતો પ્રમાણે ચાલવું પડશે.

મુખ્યમંત્રી નીતીશ કુમારના નિવેદન બાદ પ્રશાંત કિશોરે એબીપી ન્યૂઝ સાથે વાતચીત કરતા કહ્યું, નીતીશ કુમાર જે બોલ્યા છે, તેના પર જવાબની રાહ જુઓ. બિહાર આવીને તેમને જવાબ આપીશ.