ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના પિતા આનંદ સિંહ બિષ્ટને દિલ્હીની એમ્સમાં દાખલ કરવામાં આવ્યાં છે. જ્યાં તેમની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ તેમને વેંટીલેટર પર રાખવામાં આવ્યાં છે. તેમને કિડની અને લીવરની સમસ્યા છે. તબિયત ખરાબ હોવાના કારણે તેમને 13 માર્ચે એમ્સમાં દાખલ કરવામાં આવ્યાં હતા. અહીં ગેસ્ટ્રો વિભાગના ડોક્ટર વિનિત આહુજાની ટીમ તેમની સારવાર કરી રહી છે તેવું મીડિયા રિપોર્ટ્સમાં જાણવા મળ્યું છે.


યોગી આદિત્યનાથના પિતા આનંદ સિંહ ઉત્તરાખંડના યમકેશ્વરના પંચૂર ગામમાં રહે છે. તેઓ ઉત્તરાખંડમાં ફોરેસ્ટ રેંજરના પદથી 1991માં નિવૃત્ત થઈ ચુક્યાં હતા. ત્યાર બાદ જ તેઓ પોતાના ગામમાં રહે છે.

યોગી આદિત્યનાથ બાળપણમાં જ પોતાનો પરિવાર છોડીને ગોરખપુર મહંત અવૈદ્યનાથ પાસે ચાલ્યા ગયાં હતા. ત્યાર બાદ યોગી આદિત્યનાથે મહંત તરીકે અવૈદ્યનાથનું સ્થાન ગ્રહણ કર્યું હતું. ઉત્તરાખંડમાં ચૂંટણી સમયે યોગી ઘણીવાર ત્યાં ચૂંટણી પ્રચાર માટે જઈ ચુક્યાં છે. આ દરમિયાન તેમના પરિવારજનો તેમને મળે છે.