લખનઉઃ દેશભરમાં અનેક જગ્યાઓ પર નાગરિકતા કાયદાનો વિરોધ થઇ રહ્યો છે. પ્રદર્શનકારીઓ સીએએને લઇને સરકારનો પુરજોશમાં વિરોધ કરી રહ્યા છે. પરંતુ વિરોધનો આ વખતે સૌથી વિચિત્ર રીત ‘આઝાદી’નો નારો છે. આ મામલે હવે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પ્રદર્શનકારીઓને ચેતાવણી આપી દીધી છે. જો આ નારાનો ઉપયોગ કરાશે તો દેશદ્રોહનો કેસ નોંધાશે.


કાનપુરમાં નાગરિકતા કાયદાના પક્ષમાં બીજેપીની સભાને સંબોધિત કરતા યોગી આદિત્યનાથે જાહેરાત કરી દીધી છે કે, “વિરોધના નામે જો ‘આઝાદી’નો નારો લગાવ્યો તો આ દેશદ્રોહ ગણાશે. સરકાર આના વિરુદ્ધ કડક કાર્યવાહી કરશે.”

યોગીએ પ્રદર્શનકારીઓને ચેતાવણી આપી, કહ્યું- “લોકોને ભારતની જમીન પરથી ભારત વિરુદ્ધ કાવતરા કરવાની પરવાનગી નહીં આપવામાં આવે.”



સીએ યોગીએ આ મામલે નિશાન સાધતા કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, ડાબેરી પક્ષો પર મહિલાઓની આડમાં રાજકારણ રમવાનો આરોપ લગાવ્યો હતો. યોગીએ કહ્યું કે, મહિલાઓને દરેક જગ્યાએ ધરણાં આપવા માટે આગળ કરી દેવાઇ છે. પુરુષો ઘરમાં ધાબળા ઓઢીને સુઇ રહ્યા છે અને મહિલાઓને બહાર કાઢીને પ્રદર્શનમાં બેસાડવામાં આવી છે.