નવી દિલ્હી: આજે ભારતીય સેનાની તાકાત વધુ મજબૂત થઈ છે. પાંચ રાફેલ વિમાન ભારતીય બેડામાં સામેલ થયા છે. તેને લઈને કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વાયુસેનાને અભિનંદન પાઠવ્યા છે. સાથે રાહુલ ગાંધીએ રાફેલને લઈને મોદી સરકારને સવાલો પણ પૂછ્યા છે.


રાહુલ ગાંધીએ રાફેલ મુદ્રે મોદી સરકારને ત્રણ સવાલ પૂછ્યા છે. તેમણે ટ્વીટ કરી કે, “ભારતીય વાયુ સેનાને રાફેલ માટે અભિનંદન. જો કે સરકાર જણાવે કે, 526 કરોડનું એર ક્રાફ્ટ 1670 કરોડ રૂપિયાનું કઈ રીતે ? 126ના બદલે 36 રાફેલ વિમાન કેમ ખરીદવામાં આવ્યા. HALની જગ્યાએ દિવાલીયા અનિલ અંબાણીને કેમ ઠેકો આપવામાં આવ્યો ? ”



ઉલ્લેખનીય છે કે, કૉંગ્રેસના ટ્વિટર હેન્ડલ પરથી પણ ટ્વીટ કરી રાફેલ મુદ્દે પ્રતિક્રિયા આપવામાં આવી હતી કે, “રાફેલ આગમન પર વાયુસેનાને અભિનંદન આપતા આપ ભાજપ સરકારના ગડબડ પર સવાલ કરી રહ્યાં છો, તો સમજવું કે હજુ પણ તમારામાં દેશભક્તિ જીવિત છે, જય હિંદ ”

ફ્રાન્સના બંદરગાહ શહેર બોર્ડેઓસ્કમાં મેરીગ્નેક વાયુસેના એરબેઝ પરથી સોમવારે રવાના થયેલા પાંચ રાફેલ વિમાનોનો પહેલો જથ્થો આજે અંબાલા એરબેઝ પર પહોંચી ચૂક્યો છે. અહીં એરફોર્સ ચીફ આરકેએસ ભદૌરિયાએ એક ઔપચારિક સમારોહમાં આ વિમાનોને રિસીવ કર્યા હતા.