નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભાજપની યૂટ્યૂબ ચેનલ પર ડિસલાઇક્સ વધવાને લઈ નિશાન સાધ્યું છે. રાહુલ ટ્વિટ કરીને લખ્યું, ‘તેઓ Dislike, Comment બંધ કરી શકે છે પરંતુ તમારો અવાજ નહીં. અમે તમારી વાત દુનિયા સમક્ષ રાખીશું.’


ગત રવિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરેલી મન કી બાતના કાર્યક્રમના ભાષણનો વીડિયો બીજેપીના સત્તાવાર યૂટ્યૂબ પેજ, પીએમઓ ઈન્ડિયાના સત્તાવાર યૂટ્યૂબ પેજ અને પ્રધાનમંત્રી મોદીના યૂટ્યૂબ પેજ પર અપલોડ કરવામાં આવ્યો હતો. જેને લાઈક્સ કરતાં ડિસ્લાઇક વધારે મળી હતી. લાઇકથી વધારે ડિસ્લાઇક મળવાનું વીડિયો અપલોડ શરૂ થતા જ ચાલુ થઈ ગયું હતું.



મન કી બાતના વીડિયોને ડિસ્લાઇક કરવા પાછળ યુવાનોએ નીટ અને જેઈઈ પરીક્ષા રદ્દ ન કરવાનું કારણ ગણાવ્યું હતું. જે બાદ ભાજપે તેના અનેક વીડિયો પર લાઇક્સ અને ડિસલાઇક્સની સંખ્યા બતાવતો વિકલ્પ બંધ કરી દીધો હતો.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સતત મોદી સરકાર પર પ્રહાર કરી રહ્યા છે. આજે સવારે પણ તેમણે બેરોજગારીના મુદ્દે ટ્વિટ કરીને સરકારને ઘેરી હતી. શનિવારે તેમણે આક્ષેપ કર્યા કે, ‘ન્યૂનતમ શાસન, મહત્તમ ખાનગીકરણ’ આ સરકારના વિચારો છે. કૉંગ્રેસ નેતાએ દાવો કર્યો કે, “કોરોના માત્ર બહાનું છે, સરકારી ઓફિસમાં કાયમી સ્ટાફ મુક્ત બનાવાના છે. યુવાઓનું ભવિષ્ય છીનવવાનું છે. મિત્રોને આગળ વધારવાનું છે.”

ટ્રમ્પે ફરી ભારત-ચીન સરહદ વિવાદ પર મધ્યસ્થતાની કરી ઓફર, કહ્યું- ‘હાલત ખૂબ જ ખરાબ છે’