Lok Sabha Election 2024 : છત્તીસગઢની રાજધાની રાયપુરમાં 5 વર્ષ બાદ કોંગ્રેસનું ત્રણ દિવસીય સંમેલન યોજાઈ રહ્યું છે. સંમેલનમાં સંગઠનના પુનરુત્થાન અને 2024 માટેના રોડમેપ અંગે અનેક ઠરાવો પસાર કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પચમઢીની જેમ રાયપુરમાં પણ કોંગ્રેસ ગઠબંધન અને ચહેરા પર મોટો નિર્ણય લઈ શકે છે. સાથે જ 2024ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર રાહુલ ગાંધીના બદલે ગાંધી પરિવારના બહાર વ્યક્તિને મેદાનમાં ઉતારવામાં આવે તેવી શક્યતા સેવાઈ રહી હોવાનું કહેવાઈ રહ્યું છે. 


પચમઢીમાં 2003માં કોંગ્રેસે સમાન વિચારધારા ધરાવતા પક્ષો સાથે ગઠબંધનનો પ્રસ્તાવ પસાર કર્યો હતો. પાર્ટીએ ચૂંટણી પહેલા પોતાનો ચહેરો જાહેર ન કરવાનો નિર્ણય પણ લીધો હતો. કોંગ્રેસને તેનો જબરદસ્ત ફાયદો થયો અને 2004માં અટલ બિહારી વાજપેયીની સરકાર ગઈ હતી અને  કોંગ્રેસ ગઠબંધન વતી મનમોહન સિંહને વડાપ્રધાન બનાવવામાં આવ્યા હતા.


સતત બે સામાન્ય ચૂંટણીમાં પરાજય મળ્યા બાદ કોંગ્રેસ ફરી જૂની રણનીતિ પર પાછી આવી છે. પાર્ટી કેટલાક રાજ્યોમાં ચૂંટણી પૂર્વે નવેસરથી ગઠબંધન કરી શકે છે. જેમાં બિહાર, તમિલનાડુ, મહારાષ્ટ્ર, કેરળ, ઝારખંડ, હરિયાણા, કર્ણાટક, પશ્ચિમ બંગાળ અને જમ્મુ-કાશ્મીરનો સમાવેશ થાય છે.


રાહુલ કોંગ્રેસ અને ખડગે ગઠબંધનનો ચહેરો 


કોંગ્રેસ ચહેરાના રાજકારણને લઈને મોટો દાવ ખેલી શકે છે. રાહુલ ગાંધી કોંગ્રેસનો ચહેરો બની શકે છે. જ્યારે પીએમ પદ માટે સંયુક્ત ઉમેદવારની જાહેરાત 2024ની ચૂંટણી બાદ કરવામાં આવશે.


જો કોંગ્રેસ કેમ્પના અહેવાલ પર વિશ્વાસ કરવામાં આવે તો આગામી સમયમાં ગઠબંધન પક્ષોને એક કરવા માટે કોંગ્રેસ ખડગેનું માસ્ટર કાર્ડ રમી શકે છે. જાહેર છે કે, ખડગે દલિત ચહેરો છે અને સૌથી અનુભવી પણ છે. આ સ્થિતિમાં વિરોધપક્ષ ભાગ્યે જ તેમના નામનો વિરોધ કરી શકે.


તેવી જ રીતે જે નેતાઓ હજુ રાહુલ ગાંધી વિશે સહમત નથી. તેમાંથી ઘણા નેતાઓ ખડગેના નામને લઈને સહમત થઈ શકે છે. રાહુલ ગાંધીએ પણ ઘણી વખત કહ્યું છે કે, તેઓ સરકાર બદલવા કરતાં વધુ વિચારધારાની લડાઈ લડી રહ્યા છે. મતલબ રાહુલને પણ સરકાર કરતાં સંગઠનમાં વધુ રસ છે.


આ સ્થિતિમાં કોંગ્રેસ વિરોધ પક્ષોને શાંત કરવા માટે ખડગેનો દાવ ખેલી શકે છે. ખડગેને સંગઠન અને સરકાર ચલાવવાનો અનુભવ પણ છે.