નવી દિલ્હીઃવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાયને લઇને કોગ્રેસ પર શાબ્દિક હુમલો કર્યો હતો. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, મધ્યપ્રદેશના ચૂંટણી ઢંઢેરામાં કોગ્રેસ પાર્ટીએ ગાય માતાની ગૌરવગાથા ગાઇ રહી છે પરંતુ કેરલમાં જાહેરમાં કોગ્રેસના લોકો ગાયના વાછરડાનું માથુ વાઢીને માંસ ખાતી પોતાની તસવીર પડાવે છે અને કહે છે કે ગૌમાંસ ખાવું અમારો અધિકાર છે.


વડાપ્રધાન મોદીએ આરોપ લગાવ્યો હતો કે દેશની આઝાદીથી અત્યાર સુધીમાં કોગ્રેસ પાર્ટીએ ખોટું બોલવાની જબરદસ્ત પ્રેક્ટિસ કરી છે જેને કારણે તેને ખોટું બોલવાની અને ખોટું ફેલાવવાની મહારથ હાંસલ કરી દીધી છે. કોગ્રેસ પાર્ટીના નેતા સપના વેચીને છેતરપિંડી કરનારા સોદાગર છે. દગો કરવો કોગ્રેસ પાર્ટીનો સ્વભાવ છે. એટલા માટે દેશની જનતા તેમના પર વિશ્વાસ કરવાની નથી.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, મધ્યપ્રદેશ કોગ્રેસના અધ્યક્ષ કહે છે કે ગુંડા ચાલશે, બેઇમાન ચાલશે અને ભ્રષ્ટાચારી ચાલશે... મને કોઇ પણ ઉમેદવાર ચાલશે.. બસ જીતનારા જોઇએ. વડાપ્રધાને  જનતાને સવાલ કર્યો હતો કે જે લોકોને ગુંડા, બેઇમાન, ભ્રષ્ટાચાર ઉમેદવારોને પસંદ કર્યા છે, શું એવા લોકોના હાથમાં મધ્યપ્રદેશ આપવું જોઇએ?

વડાપ્રધાન મોદીએ પોતાની ટીકા કરનારી કોગ્રેસ પાર્ટી અને તેમના નેતાઓ પર વળતો પ્રહાર કરતા કહ્યું કે, હિંદી અને અંગ્રેજીના શબ્દકોષમાં જેટલી ગાળો છે તેટલી કોગ્રેસના નેતો મોદીને આપીને રહ્યા છે. ચા વાળાને ગાળો, પકોડા વાળાને ગાળો, ચોકીદારને ગાળો, આદિવાસીઓના પહેરવેશને ગાળો, દેશના સૈન્ય અધ્યક્ષને ગાળો અને કોગ્રેસ પાર્ટી પોતાનું સમતુલન ગુમાવી બેઠી છે. મોદીએ કહ્યું કે, ચાર પેઢી સુધી સંતાડીને રાખેલી કમાણી નીકળીને  બેન્કો સુધી આવી છે અને તેનાથી દેશમાં વિકાસ કાર્યો થઇ રહ્યા છે. દેશમાં આઇઆઇટી, એઇમ્સ, આઇઆઇએમ, રસ્તાઓ બની રહ્યા છે. લોકો સમજી શકતા નથી કે મોદી આટલા ઓછા સમયમાં આટલા બધા રૂપિયા ક્યાંથી લાવ્યા. આ પૈસા એ લોકોના છે જેમણે ચાર પેઢીઓ સુધી બેડની નીચે છૂપાવીને રાખ્યા હતા. નોટબંધીને કારણે તે રકમ બેન્કોમાં આવી છે. આ પૈસા તમારા છે.