ભોપાલ: કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે આજે રાજ્યસભા ચૂંટણી માટે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. 26 માર્ચના યોજાનારી રાજ્યસભા ચૂંટણીને લઈને કૉંગ્રેસે મધ્યપ્રદેશમાંથી એક ઉમેદવાર તરીકે દિગ્વિજય સિંહનું નામ નક્કી કર્યું છે. મધ્યપ્રદેશમાંથી રાજ્યસભાની ત્રણ બેઠકો ખાલી થઈ રહી છે. આ બેઠકો પર વર્તમાનમાં દિગ્વિજય સિંહ,ભાજપના પ્રભાત ઝા અને સત્યનારાયણ જટિયા સાંસદ છે.


જ્યારે બીજી તરફ બાજપે પૂર્વ કેંદ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાને રાજ્યસભામાં ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. સિંધિયા બુધવારે ભાજપમાં સામેલ થયા હતા. બુધવારે જ ભાજપે રાજ્યસભા માટે તેમને ઉમેદવાર તરીકે જાહેર કરી દીધા હતા.

સિંધિયા 13 માર્ચના ભોપાલમાં પોતાનું ઉમેદવારી ફોર્મ ભરશે. સૂત્રોની જાણકારી અનુસાર રાજ્યસભાની ત્રણ બેઠકોની ચૂંટણીમાં કૉંગ્રેસ અને ભાજપ એક-એક બેઠક પર સરળતાથી જીત મેળવી લેશે, જ્યારે ત્રીજી બેઠકને લઈને બંને પક્ષો વચ્ચે કાંટે કી ટક્કર થશે.

બુધવારે દિગ્વિજય સિંહે દાવો કર્યો કે વિધાનસભામાં  કમલનાથ સરકાર બહુમત સાબિત કરી લેશે. આ સાથે જ તેમણે દાવો કર્યો કે બગાવત કરેલા 22 ધારાસભ્યોમાંથી 13એ કૉંગ્રેસ નહી છોડવાનો ભરોસો આપ્યો છે.