મુંબઇઃ શિરડીના સાંઇ બાબાના જન્મ સ્થળને લઇને મહારાષ્ટ્રમાં એક એવો વિવાદ ઉભો થઇ ગયો છે કે, હવે શિરડી શહેરમાં લોકોએ અનિશ્ચિતકાળ સુધીની બંધ પાળ્યુ છે. આ વિવાદ સીએમ ઉદ્ધવ ઠાકરેના એક નિવેદનને લઇને ઉભો થયો છે, લોકોમાં આને લઇને ગુસ્સો છે.


શિરડીમાં હાલ લોકોએ અનિશ્ચિતકાળ સુધી હૉટલો અને દુકાનો બંધ રાખી છે, શિરડીમાં સાંઇ બાબાના દર્શન માટે આવેલા ભક્તોને મંદિરમાં સાંઇ બાબાના દર્શન તો થશે પણ શહેરમાં રહેવા કે ખાવા પીવા માટે કોઇ સુવિધા નહીં મળે.

ખરેખરમાં, થોડાક દિવસો પહેલા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરેએ ઔરંગાબાદમાં એક સભાને સંબોધિત કરતા કહ્યુ હતું કે, પરભણી જિલ્લાની નજીક પારથી ગામમાં જે જગ્યાએ સાંઇ બાબાનો જન્મ થયો હતો, ત્યાં 100 કરોડ રૂપિયાના વિકાસના કામો કરીશું, અને પારથી ગામમાં આ પ્રૉજેક્ટને અમલમાં લાવવામાં આવશે. મુખ્યમંત્રીના આ નિવેદન બાદ કથિત રીતે સાંઇ બાબાના જન્મ સ્થળ ગામ પારથીના લોકો ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા, અને જશ્ન મનાવવા લાગ્યા હતા.

વળી, સીએમ ઉદ્વવ ઠાકરેના આ નિવેદન બાદ અહમદનગર જિલ્લાના શિરડી ગામના લોકો આક્રોશમાં આવી ગયા હતા. ગામ લોકોનુ કહેવુ છે કે, જ્યાં સુધી સરકાર સ્પષ્ટ નથી કરતી કે, પારથીમાં જન્મસ્થળ હોવાના કારણે આ વિકાસના કામો નથી કરવામાં આવી રહ્યાં, ત્યાં સુધી શિરડી શહેર અનિશ્ચિતકાળ સુધી બંધ રહેશે.