નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ભારતમાં કોરોના વાયરસના કેસની સંખ્યા 1 લાખ 18 હજારને પાર પહોંચી છે. દેશમા કોરોના વાયરસથી અત્યાર સુધીમાં 3583 લોકોના મોત થયા છે. હાલ દેશમાં 118447 લોકો કોરોનાથી સંક્રમિત છે. ભારતમાં કોરોના વાયરસ સામે લડી 48 હજારથી વધુ લોકો સ્વસ્થ થયા છે.


દેશમાં કોરોના વાયરસથી સૌથી વધુ પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્ર છે. અહીં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 44 હજારને પાર પહોંચી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 1517 લોકોનાં મોત થયા છે.

ગુજરાતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 13 હજારને પાર પહોંચી છે. રાજ્યમાં નવા 30 મોત સાથે મૃત્યુઆંક 803 પર પહોંચ્યો છે. ગુજરાતમાં અમદાવાદ સૌથી વધુ પ્રભાવિત છે. અત્યાર સુધીમાં 5 હજાર 880 દર્દીઓએ કોરોનાને માત આપી છે.

દુનિયાના 213 દેશોમાં છેલ્લા 24 કલાકમાં 107706 નવા કોરોના વાયરસના નવા કેસ સામે આવ્યા છે અને મૃતકોની સંખ્યામાં 5245નો વધારો થયો છે. વર્લ્ડોમીટર મુજબ, દુનિયાભરમાં અત્યાર સુધીમાં 53 લાખ લોકો કોરોના વાયરસથી સંક્રમિત છે.જેમાંથી 3 લાખ 39 હજાર 418 લોકોના મોત થયા છે. જ્યારે 21 લાખ 56 હજાર 288 લોકો સારવાર લઈ સ્વસ્થ થયા છે.