નવી દિલ્હીઃ ભારતમાં કોરાના સંક્રમણ મામલા સતત ઘટી રહ્યા છે. દેશમાં સતત છઠ્ઠા દિવસે 50 હજારથી ઓછા કેસ નોંધાયા હતા. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં 44,111 નવા કેસ આવ્યા હતા અને 52,477 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. જ્યારે 738 સંક્રમિતોના મોત થયા હતા.

   

 દેશમાં સતત 51મા દિવસ કોરોના વાયરસના નવા કેસની સંખ્યા કરતાં રિકવર થયેલ દર્દીની સંખ્યા વધારે નોંધાઈ છે.2 જુલાઈ સુધી દેશભરમાં 34 કરોડ 46 લાખ કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. ગઈકાલે 57 લાખ  60 હજાર લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં 41 કરોડ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. ગઈકાલે 19 લાખથી વધુ જેટલા કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેનો પોઝિટિવીટી રેટ અંદાજે 3 ટકા કરતાં વધારે હતો.

દેશમાં કોરોના વાયરસની સ્થિતિ

  • કુલ કોરોના કેસ - ત્રણ કરોડ 5 લાખ 2 હજાર 362
  • કુલ ડિસ્ચાર્જ - બે કરોડ 96 લાખ 05 હજાર 779
  • કુલ એક્ટિવ કેસ - 4 લાખ 95 હજાર 533
  • કુલ મોત - 4 લાખ 1 હજાર 050

કોરોનાથી કુલ મોતમાં ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે

દેશમાં કોરોનાથી કુલ મૃત્યુ દર 1.23 ટકા છે જ્યારે રિકવરી રેટ અંદાજે 96.92 ટકા છે. એક્ટિવ કેસ ઘટીને 3 ટકાથી ઓછો થયો છે. કોરોના એક્ટિવ કેસના મામલે ભારત વિશ્વમાં ત્રીજા નંબર પર છે. કુલ સંક્રમિતોની સંખ્યાના મામલે ભારત બીજા સ્થાને છે. જ્યારે વિશ્વમાં અમેરિકા, બ્રાઝીલ બાદ સૌથી વધારે મોત ભારતમાં થયા છે.

દેશમાં ક્યારે આવશે ત્રીજી લહેર

કોરોનાના ઘટતાં કેસની વચ્ચે લોકોએ બેદરકારી દાખવવાનું શરૂ કર્યુ છે. આ દરમિયાન નિષ્ણાતોએ ત્રીજી લહેરની ચેતવણી આપી છે. સ્વાસ્થ્ય વિભાગના નિષ્ણાતોની એક ટીમ સરવેમાં દેશમાં ઓક્ટોબર સુધીમાં એટલેકે તહેવારોના સમયમાં ત્રીજી લહેર આવવાની આશંકા વ્યક્ત કરી છે. તેમના કહેવા મુજબ આ લહેરમાં ભારતમાં આવેલી બીજી લહેરની સરખામણીએ વધુ નિયંત્રિત હશે, પરંતુ આ લહેરના કારણે દેશમાં કોરોના વધુ એક વર્ષ સુધી રહી શકે છે.

કઈ તારીખે કેટલા કેસ નોંધાયા
તારીખ કેસ  મોત
1 જુલાઈ 48,786 1005
2 જુલાઈ 46,617 853