મુંબઈઃ દેશમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. આ દરમિયાન બીએમસી દ્વારા નવા વર્ષે 11.30 બાદ હોટલ, પબ, રેસ્ટોરન્ટ, બારમાં પાર્ટી નહીં કરવા દેવાનો ઓર્ડર જાહેર કરાયો છે. આ ઉપરાંત બીએમસીએ હોટલ અને રેસ્ટોરન્ટને સોશિયલ ડિસ્ટેન્સિંગ જળવાય તે માટે માત્ર 33 ટકા ક્ષમતા સાથે હોટલ-રેસ્ટોરન્ટ્સનું સંચાલન કરવા જણાવ્યું છે.


બીએમસીની તપાસમાં ઘણી રેસ્ટોરન્ટ 11.30 પછી પણ ચાલુ હોવાનું જણાયા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. મુંબઈમાં જાહેર સ્થળો, રેસ્ટોરન્ટ અને નાઇટ ક્લબમાં નવા વર્ષના સેલિબ્રેશન માટે મોટી સંખ્યામાં લોકો એકઠાં થતાં હોય છે. બીએમસીએ હોટલ અને રેસ્ટોરન્ટને સવારે 7 થી બપોરે 10 સુધી કાર્યરત રાખવાની મંજૂરી આપી હતી. મહારાષ્ટ્ર સરકારે 7 ઓક્ટોબરે બાર અને રેસ્ટોરન્ટ ખોલવા 7 ઓક્ટોબરે ગાઇડલાઇન બહાર પાડી હતી.

મહારાષ્ટ્રમાં હાલ કોરનાના એક્ટિવ કેસની સંખ્યા 72,458 છે. જ્યારે 17,66,010 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 48339 થયો છે.

દેશમાં છેલ્લા 24 કલાક દરમિયાન 26,382 નવા કોરોના કેસ સામે આવ્યા છે અને 387 લોકોના મોત થયા છે. આ સાથે દેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 99,32,548 પર પહોંચી છે અને મૃત્યુઆંક 1,44,096 પર પહોંચ્યો છે.  દેશમાં 94,56,449 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.