દિલ્હી: હાલ દેશમાં કોરોના સામે લડી રહ્યો છે ત્યારે દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં તબલિઘી જમાતના મરકઝમાં 1થી 15 માર્ચ સુધી 5 હજારથી વધુ લોકો એક ધાર્મિક આયોજનમાં સામેલ થયા હતા. તેમાં ઈન્ડોનેશિયા, મલેશિયા અને થાઈલેન્ડથી આવેલા લોકો પણ સામેલ હતા. 22 માર્ચે લોકડાઉનની જાહેરાત બાદ પણ અહીં 2 હજાર લોકો રોકાયેલા હતા. તેમાંથી 300 લોકો કોરોનાથી સંક્રમિત હોય તેવી આશંકા છે. શંકાસ્પદ લોકોને તપાસ માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે. તેમને શરદી, ઉધરસ અને કફની ફરિયાદ છે.




લોકડાઉન મામલે દિલ્હી સરકારની આ ગંભીર બેદરકારી સામે આવી છે જેમાં લોકડાઉન એક મજાક બની ગયું છે. પોલીસે નિઝામુદ્દીન એરિયાને કોર્ડન કરી લીધો છે. અહીં અંદાજે 2,000 લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે અને તે તમામનો કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. આ દેશનો પહેલો આટલો મોટો સમૂહ છે કે જેનો કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. સમગ્ર વિસ્તારમાં ડ્રોનથી પણ નજર રાખવામાં આવી રહી છે. જમાતમાં સામેલ બે વૃદ્ધના મોત પણ થઈ ચૂક્યા છે. તે બન્ને કોરોના પોઝિટિવ હતા.



નિઝામુદીનનું આ મરકઝ ઇસ્લામની શિક્ષા માટે વિશ્વનું સૌથી મોટું કેન્દ્ર છે જ્યાં ઘણા દેશોથી લોકો આવતાં હોય છે. મરકઝથી થોડે દૂર નિઝામુદીન ઓલિયાની મજાર છે જે અત્યારે બંધ છે.



મરકઝમાં રોકાયેલા મોટાભાગના લોકો તેમના દેશ અને ભારત સ્થિત તેમના શહેરોમાં જતા રહ્યા હતા. આ લોકોમાંથી 6 કોરોના સંક્રમિત થયેલા હતા અને એકનું મોત થયું હતું. જોકે મૃતકનો રિપોર્ટ હજુ આવ્યો નથી. સ્વાસ્થ્ય વિભાગ, WHO તેમજ પોલીસની ટીમ અહીંથી લોકોને કાઢવાનું કામ કરી રહી છે.