નવી દિલ્હી: કોરોના વેક્સીનને લઈ મોટા સમાચાર આવ્યા છે. દેશમાં 16 જાન્યુઆરી 2021થી વેક્સીનેશન શરુ કરવામાં આવશે. સૌથી પહેલા સ્વાસ્થ્યકર્મીઓ અને ફ્રન્ટલાઈન વર્કર્સને આપવામાં આવશે. જેની સંખ્યા ત્રણ કરોડ જેટલી છે. તેની સાથે જ 50 વર્ષથી વધુ અને 50 વર્ષથી ઓછી ઉંમરના કો-મોરબિડ લોકોને પણ પહેલા વેક્સીન આપવામાં આવશે. જેની સંખ્યા 27 કરોડની આસપાસ છે.




વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કોવિડ રસીકરણ માટે રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોની તૈયારીની સમીક્ષા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી, બેઠકમાં કેબિનેટ સચિવ અને સ્વાસ્થ્ય સચિવ સિવાય અન્ય અધિકારીઓએ પણ ભાગ લીધો હતો. આ સમીક્ષા બેઠક બાદ વેક્સીનેશનની તારીખ નક્કી કરવામાં આવી હતી.

શુક્રવારે સમગ્ર દેશમાં બીજી વખત કોરોના વાયરસની રસની તૈયારીઓને લઈ ડ્રાઈ રન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન વેક્સીનેશનની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. ઉત્તર પ્રદેશ સિવાય દેશના તમામ જિલ્લામાં ડ્રાઈ રનનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પહેલા સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું હતું કે, 10 દિવસમાં વેક્સિનેશનની પ્રક્રિયા શરૂ થઈ જશે. કોવેક્સિનના ઉપયોગ પહેલા મંજૂરી લેવી જરૂરી હશે. ડીસીજીઆઈ દ્વારા દેશમાં બે કોરોના વેક્સીન ભારત બાયોટેકની ‘કોવેક્સીન’ અને ઑક્સફોર્ડની ‘કોવિશીલ્ડ’ના ઉપયોગને ઈમરજન્સી મંજૂરી આપી દીધી છે.