નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસને નાથવા હાલ રસીકરણ અભિયાન શરૂ થઈ ગયું છે. અત્યાર સુધીમાં હજારો લોકોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવી ચુક્યો છે. જોકે ઘણા લોકો હજુ રસી લેતા અચકાઈ રહ્યા છે. આ દરમિયાન પ્રધાનમંત્રી મોદી બીજા તબક્કામાં રસી લેશે.


મોદી ક્યારે લેશે રસી

રસીકરણના બીજા તબક્કામાં પ્રધાનમંત્રી અને રાજ્યોના મુખ્યમંત્રી કોરોનાની રસી લેશે. આમ આદમીમાં રસીકરણ પ્રત્યે વિશ્વાસ બેસાડવા પ્રધાનમંત્રી અને અન્ય નેતાઓ રસી લેશે. જોકે પ્રધાનમંત્રી  સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા દ્વારા તૈયાર કરાયેલી ઓક્સફોર્ડની કોવિડ-19 'કોવિશીલ્ડ' અને ભારતની બાયોકેટ સ્વદેશી રસી 'કોવેક્સીન' પૈકી કઈ રસી લેશે તે સ્પષ્ટ કરવામાં આવ્યું નથી. ગત સપ્તાહે રસીકરણની શરૂઆત કરાવતાં પીએમ મોદીએ કહ્યું હતું કે, બીજા તબક્કામાં 50થી વધુની ઉંમરના લોકોને રસી અપાશે.

24 કલાકમાં કેટલા નોંધાયા કેસ

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 15,223 નવા કેસ નોંધાયા છે અને 151 લોકોના મોત થયા છે. દેશમાં કોરોનાથી કુલ સંક્રમિતોની સંખ્યા 1,06,10,883 પર પહોંચી છે. દેશમાં એક્ટિવ કેસની કુલ સંખ્યા 1,92,308 છે, જ્યારે 1,02,65,706 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 1,52,869 થયો છે.