નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 30 લાખને પાર પહોંચી ગઈ છે અને 56 હજારથી વધુ લોકોના મોત થયા છે. ભારતની ઘણી કંપનીઓ કોરોનાની રસી બનાવવામાં લાગી છે. આ દિશામાં ઓક્સફોર્ડની વેક્સીન મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. આ રસીના ભારતમાં ઉત્પાદન માટે સીરમ ઈન્સ્ટિટ્યૂટને મંજૂરી મળી ચુકી છે.


બિઝનેસ ટુડેના રિપોર્ટ પ્રમાણે, ભારત સરકારે સીરમ ઈન્સ્ટિટ્યૂટ પાસેથી સીધી જ રસી ખરીદવાનો સંકેત આપ્યો છે. સરકાર આ રસી લોકોને ફ્રીમાં મળે તેવી યોજના બનાવી રહી છે. સરકારે સીરમ ઈન્સ્ટિટ્યૂટ પાસેથી જૂન, 2021ના અંત સુધીમાં 68 કરોડ ડોઝની માંગ કરી છે. સરકાર આ રસીનું ટ્રાયલ ઝડપથી પૂરી કરવાની મંજૂરી આપી ચુક્યું છે. રસી સફળ જાહેર થશે તો લોકોને રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમ અંતર્ગત ફ્રીમાં આપવામાં આવશે. બાકી રહેલા લોકો માટે સરકાર આઈસીએમઆર અને ભારત બાયોટેક દ્વારા વિકસાવવામાં આવી રહેલા કોવેક્સીન તથા ઝાયડસ કેડિલાને ઓર્ડર આપી શકે છે.

ઓક્સફોર્ડની કોરોના રસીના ઉત્પાદનનો અધિકાર એસ્ટ્રાજેનેકા કંપની પાસે છે. આ કંપની સાથે જ સીરમ ઈન્સ્ટિટ્યૂટે કરાર કર્યો છે. સીરમ ઈન્સ્ટિટ્યૂટ માત્ર ભારત જ નહીં વિશ્વના 92 દેશોમાં રસી મોકલે છે. વર્તમાન યોજના અંતર્ગત આગામી 72 દિવસમાં આ રસી બજારમાં આવી શકે છે. સીરમ ઈન્સ્ટિટ્યૂટરને કોરોનાની રસી બનાવવા બિલ એન્ડ મલિંડા ગેટ્સ તરફથી ફંડ પણ મળ્યું છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં છેલ્લા 24 કલાકમાં નવા 69,239 કોવિડ-19 કેસ નોંધાયા છે અને 921 લોકોના મોત થયા છે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 30,44,491 પર પહોંચી છે. જેમાંથી 7,07,668 એક્ટિવ કેસ છે અને 22,80,567 લોકો સાજા થઈ ગયા છે. દેશમાં અત્યાર સુધીમાં 56,706 લોકોના મોત થયા છે.