અમદાવાદ: સમગ્ર વિશ્વમાં હાલ કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. કોરોના વાયરસના કારણે ચીનમાં અત્યાર સુધીમાં 426 લોકોના મોત થયા છે. ત્યારે હવે ગુજરાતના અમદાવાદમાં કોરોના વાયરસનો પ્રથમ શંકાસ્પદ કેસ સામે આવ્યો છે. 28 વર્ષની મહિલાને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં સારવાર શરૂ કરવામાં આવી છે.


28 વર્ષીય મહિલા દર્દીના સેમ્પલ તપાસ અર્થે પુણે મોકલવામાં આવ્યા છે. મહિલા થાઈલેન્ડ પ્રવાસ પૂર્ણ કરીને પરત ફરી હતી. ચીનમાં કોરોના વાયરસના કહેરના કારણે અત્યાર સુધીમાં કુલ 426 લોકોના મોત થયા છે. જ્યારે 20 હજારથી વધારે મામલાની પુષ્ટી કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, ચીનમાં કોરોના વાયરસે મચાવેલા હાહાકારથી અહીં રહેતા છાત્રો, વેપારીઓ, કંપનીઓમાં જોબ કરતાં કર્મચારીઓ વગેરે ભારત પરત આવી રહ્યા છે. જેને લઇ રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા ચીનથી પરત આવતા મુસાફરોનું પ્રત્યેક જિલ્લામાં મેડિકલ ટીમ દ્વારા સ્ક્રિનિંગ કરાઇ રહ્યું છે.