નવી દિલ્હી: દેશમાં  વધી રહેલા કોરોના વાયરસના કેસ વચ્ચે રાહતના સમાચાર આવ્યા છે. છેલ્લા કેટલાક અઠવાડિયાથી કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તાજા આંકડા અનુસાર કોરોનાના દર્દીઓની સંખ્યામાં ઘોટડો નોંધાય રહ્યો છે. જેને લઈ કોરોના સંકટથી લોકોને થોડી રાહતની શ્વાસ મળી છે.


છેલ્લા ત્રણેક અઠવાડિયાથી કોરોના દર્દીઓના સતત સમાન આંકડા નોંધાય રહ્યાં હતા. આ અઠવાડિયામાં ગત અઠવાડિયા કરતા 16 ટકા ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા ત્રણ અઠવાડિયામાં આવેલા કોરોના દર્દીઓના આંકડાની વાત કરીએ તો 8-15 નવેમ્બર વચ્ચે 292,549 કોરોના દર્દીઓની પુષ્ટી થઈ હતી. તેના બાદ 15-22 નવેમ્બર દરમિયાન 292,475 નવા કરોનાના કેસ સામે આવ્યા હતા. જ્યારે 22-29 નવેમ્બરમાં 291,903 કેસ નોંધાયા હતા, જો કે, તેના બાદ કોરોના કેસની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે.

આ ત્રણ અઠવાડિયા બાદ દેશમાં કોરોના કેસમાં છેલ્લા અઠવાડિયાની તુલનામાં 16 ટકા ઘટાડો આવ્યો છે. 29 નવેમ્બરથી 6 ડિસેમ્બર વચ્ચે દેશમાં 2.5 લાખથી ઓછા કોરોનાના કેસ સામે આવ્યા છે. આ અઠવાડિયામાં 245,599 નવા કેસની પુષ્ટી થઈ હતી. તેની સાથે આવતા અઠવાડિયામાં પણ કોરોના કેસમાં ઘટાડો થવાનું અનુમાન છે.

ભારતમાં 140 દિવસ બાદ કોરોનાથી સંક્રમિત કુલ એક્ટિવ કેસની સંખ્યા 4 લાખની નીચે પહોંચી ગઈ છે. દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા સોમવારે 396729 નોંધાઈ હતી. આ પહેલા ચાર લાખથી નીચે એક્ટિવ કેસોની સંખ્યા 20 જુલાઈએ 3,90,459 નોંધાઈ હતી.

સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, ભારતમાં કુલ કેસ 96 લાખ 77 હજાર 203 પર પહોંચી ગયા છે. તેમાંથી અત્યાર સુધી એક લાખ 40 હજાર 577 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને ત્રણ લાખ 96 હજાર 729 થઈ ગઈ છે. અત્યાર સુધી કુલ 91 લાખ 39 હજાર 901 લોકો કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે. દેશમાં રિકવરી રેટમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. હાલમાં દેશમાં રિકવરી રેટ 94 ટકા છે. એક્ટિવ કેસ 5 ટકાથી પણ ઓછા છે.