નવી દિલ્હી: દેશભરમાં સરકારથી લઈને સામાન્ય જનતા સુધી બધા આ સમયે કોરોના વાયરસ સામે જંગ લડી રહ્યા છે. સમગ્ર વિશ્વમાં ફેલાયેલ કોરોના વાયરસના ભારતમાં 500થી વધુ કેસ નોંધાયા છે. કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા વધીને 513 થઈ છે. જ્યારે આ ખતરનાક વાયરસથી 11 લોકોના મોત થયા છે.




મહારાષ્ટ્રમાં આજે એક 65 વર્ષના વુદ્ધનું મોત થયું છે. તેઓ દુબઈથી પ્રવાસ કરી ભારત પરત ફર્યા હતા. આ સાથે જ દેશમાં કોરોના વાયરસથી મૃતકોની સંખ્યા વધીને 11 પર પહોંચી છે. દેશમાં સૌથી વધારે સંક્રમિત દર્દીઓની સંખ્યા હાલ મહારાષ્ટ્રમાં છે. મહારાષ્ટ્રમાં હાલમાં 101 લોકો કોરોના વાયરસની ચપેટમાં છે.



મહારાષ્ટ્ર બાદ કેરળનો નંબર આવે છે. કેરળમાં અત્યાર સુધીમાં 95 કેસ નોંધાયા છે. પરંતુ કેરળમાં અત્યાર સુધીમાં એક પણ વ્યક્તિનું મોત નથી થયું. તમિલનાડુમાં વધુ ત્રણ કેસ સામે આવ્યા છે. જ્યારે કર્ણાટકમાં ચાર કેસ સામે આવ્યા છે. અત્યાર સુધીમાં પ્રદેશમાં કોરોનાના 37 કેસ સામે આવી ચૂક્યા છે.

આ દરમિયાન પ્રધાનમંત્રી મોદી ફરી એક વખત દેશને સંબોધન કરશે. પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું, વૈશ્વિક મહામારી કોરોના વાયરસના વધતા પ્રકોપને ધ્યાનમાં રાખી આ અંગેની કેટલીક મહત્વપૂર્ણ જાણકારીની દેશવાસીઓ સાથે ચર્ચા કરીશ. આજે 24 માર્ચ, રાત્રે 8 કલાકે દેશને સંબોધન કરીશ.

કોરોના વાયરસના કારણે 30 રાજ્યો અને કેંદ્ર શાસિત પ્રદેશોમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. 135 કરોડ લોકોના દેશને લોકડાઉન કરવામાં આવી રહ્યો છે. 548 જિલ્લાઓને લોકડાઉન કરવામાં આવ્યા છે.