નવી દિલ્હી: કોરોના વાયરસનો કહેર દેશમાં સતત વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 896 નવા કેસ નોંધાયા છે, જ્યારે 37 લોકોના મોત થયા છે. જે અત્યાર સુધીમાં સૌથી વધારે છે. ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 6761 થઈ છે. કોરોના વાયરસના કારણે દેશમાં અત્યાર સુધીમાં 206 લોકોના મોત થયા છે.




સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, કોરોના સામેની લડાઇ માટે 15 હજાર કરોડના પેકેજની જાહેરાત કરવામાં આવી છે. આ મદદ રાજ્યોને આપવામાં આવશે. સ્વાસ્થ્ય વિભાગના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું કે ગુરુવારે કોરોના વાયરસના 16 હજાર ટેસ્ટ કરવામાં આવ્યા છે તેમાંથી 2 ટકા પોઝિટીવ નોઁધાયા છે એટલે કે 320 ટેસ્ટ પોઝિટીવ નોંધાયા હતા. તેમણે કહ્યું કે, દેશમાં 146 સરકારી અને 76 પ્રાઇવેટ લેબમાં કોરોનાનો ટેસ્ટ થઇ રહ્યો છે. આપણી પાસે જરૂરિયાત કરતા ત્રણ ગણી વધુ હાઇડ્રોક્સિક્લોરોક્વાઇન ટેબલેટ ઉપલબ્ધ છે.

છેલ્લા બે દિવસમાં ઉત્તરાખંડમાં એક પણ કોરોના વાયરસનો પોઝિટિવ કેસ નોંધાયો નથી. ઉત્તરાખંડના આરોગ્ય વિભાગે કહ્યું, રાજ્યમાં કોવિડ -19 પોઝિટિવ કેસની કુલ સંખ્યા 35 છે.



કોરોનાના વધી રહેલા ખતરાને જોતા પંજાબમાં કર્ફ્યૂ 30 એપ્રિલ સુધી લંબાવી દીધું છે. મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહે મંત્રિમંડળની બેઠકમાં આ નિર્ણય લીધો છે. સાથે સખ્તાઈથી પાલન કરવાના નિર્દેશ પણ આપ્યા છે.