નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસનું ફરી સંક્રમણ વધી રહ્યું છે. આજે 34 દિવસ બાદ દેશમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 17 હજાર 407 કેસ નોંધાયા હતા અને 89 લોકોના મોત થયા હતા.  17 હજારથી વધુ કેસ છેલ્લી વખત 28 જાન્યુઆરીએ નોંધાયા હતા.


ભારત સરકારના જણાવ્યા મુજબ, દેશમાં યુકે, સાઉથ આફ્રિકા અને બ્રાઝિલ વેરિયન્ટના કોવિડ વાયરસના કુલ 242 કેસ છે. દેશના 6 રાજ્યોમાં સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. મહારાષ્ટ્ર, કેરળ, તમિલનાડુ, ગુજરાત, પંજાબ અને કર્ણાટક આ રાજ્યોમાં સતત કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કુલ કેસ પૈકી 85.51% આ રાજ્યોમાં નોંધાયા છે.

મધ્યપ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, જમ્મુ-કાશ્મીર, ઓડિશા, ઉત્તરપ્રદેશ, હિમાચલ પ્રદેશ, ગોવા, ઉત્તરાખંડ, ઝારખંડ, પુડ્ડુચેરી, આસામ, લક્ષદ્વીપ, નાગાલેન્ડ, સિક્કીમ, લદ્દાખ, ત્રિપુરા, અંદામાન-નિકોબાર, મણિપુર, મિઝોરમ, મેઘાલય, દિવ-દમણ અને દાદરાનગર હવેલી, અરૂણાચલ પ્રદેશમાં કોરોનાથી એક પણ મોત થયું નથી.



મહારાષ્ટ્રમાં શું છે સ્થિતિ

મહારાષ્ટ્રમાં બુધવારે  9 હજારથી વધુ કેસ નોંધાયા હતા. રાજ્યમાં હાલ સંક્રમિતોની સંખ્યા 21 હજાર પાર કરી ચૂકી છે,તો છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 42 લોકોના મૃત્યુ થયા છે. મૃત્યુઆંક 52,280 સુધી પહોંચ્યો છે. મંગળવારે સાંજે 6,559 લોકો સ્વસ્થ થતાં હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.