નવી દિલ્હીઃ કોરોના વાયરસને ફેલાવતો અટકાવવા માટે દિલ્હી સરકારે ટાસ્ક ફોર્સની બેઠક કરી છે. બેઠકમાં જિમ, નાઇટ ક્લબ અને સ્પાને 31 માર્ચ સુધી બંધ રાખવાનો આદેશ આપ્યો છે. મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યું કે, અમે 50થી વધુ લોકોની ભીડને ક્યાંય પણ પરમિશન આપીશું નહીં. 50થી વધુ લોકોની ભીડવાળા કાર્યક્રમ થશે નહીં. અમે લોકોને અપીલ કરીએ છીએ કે તે પોતાના લગ્ન ટાળી દે. જો ખૂબ જરૂરી હોય તો જ લગ્ન કરો, નહી તો તારીખને આગળ વધારી દે.




મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યું કે, દિલ્હીમાં અત્યાર સુધી કોરોના વાયરસના સાત કેસ સામે આવ્યા છે. જેમાં એકનું મોત થઇ ચૂક્યું છે. બે લોકો ઠીક થઇને ઘરે જઇ ચૂક્યા છે. ચાર લોકોની સારવાર ચાલી રહી છે અને જલદી તેઓ સ્વસ્થ થઇને ઘરે જશે. સાથે એ લોકો પર પણ નજર રાખી રહ્યા છીએ જેઓને પોતાના ઘરમાં જ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે.



તે સિવાય કોરોનાનો સામનો કરવા માટે આખા દિલ્હીમાં હાથ ધોવા માટે ડિસ્પેંસિંગ મશીન લગાવાવમાં આવશે. તમામ ડિસ્ટ્રિક્ટ મેજીસ્ટ્રેસ અને એસડીએમ પોતાના વિસ્તારોમાં 100 ડિસ્પેસિંગ મશીન લગાવશે. નગર નિગમના ડિપ્ટી કમિશનર પોતાના વિસ્તારોમાં 300 ડિસ્પેંસિંગ મશીન લગાવશે. માર્કેટ, બસ ડેપો, બસ સ્ટેન્ડ, ઓટો સ્ટેન્ડ અને તમામ ભીડભાડવાળા વિસ્તારોમાં હાથ ધોવા માટે ડિસ્પેન્સર લગાવવામાં આવશે.

શાહીન બાગના સવાલ પર મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યું કે, કોરોનાના કારણે અમે 50થી વધુ લોકોના કોઇ પણ કાર્યક્રમની મંજૂરી આપીશું નહીં. પછી તે વિરોધ પ્રદર્શન હોય કે પછી અન્ય કોઇ કાર્યક્રમ. આ નિયમ તમામ જગ્યા પર લાગૂ રહેશે. નાયબ કલેક્ટર પાસે કાર્યવાહીનો પાવર છે. તે પોલીસ સાથે જઇને કાર્યવાહી કરે.