નવી દિલ્હીઃ કોરોનાના ડરના કારણે હાલમા દેશમાં માહોલ એવો છે કે લોકો રસ્તા પર પડેલી ચલણી નોટ પણ ઉપાડી રહ્યા નથી. મધ્યપ્રદેશના ઇન્દોરમાં રસ્તા પર પડેલી ચલણી નોટ જોઇને લોકોએ  ઉપાડવાના બદલે પોલીસને સૂચના આપી દીધી હતી. વાસ્તવમાં રસ્તા પર 200,100 અને 500 રૂપિયાની 25 ચલણી નોટ પડી હતી પરંતુ તેને ઉપાડવા માટે કોઇ તૈયાર નહોતુ. આ ચલણી નોટને જોઇને લોકોએ નગર નિગમને ફોન કરી દીધો અને બાદમાં પોલીસ ત્યાં આવી હતી.


વાસ્તવમાં ઇન્દોરના હીરા નગર પોલીસ સ્ટેશન ક્ષેત્રના ખાતીપુરામાં સ્થિત ધર્મશાળા સામે આવેલા રસ્તા પર કોઇ અજાણી વ્યક્તિ 100,200 અને 500 રૂપિયાની ચલણી નોટ ફેંકીને ચાલ્યો હતો. આ વાતની જાણકારી જેવી લોકોને લાગી તો લોકોએ તરત જ નગર નિગમ અને પોલીસને સૂચના આપી દીધી હતી.

કોરોના વાયરસની આશંકાને કારણે ઝોન 17ના ઝોનલ અધિકારી નરેન્દ્ર કુરીલે જણાવ્યું કે, વોર્ડ 20માં કોઇ નોટ ફેંકીને ચાલ્યું ગયું હતું. આ જાણકારી મળ્યા બાદ નિગમના કમિશનર આશીષ સિંહ ઘટનાસ્થળ પહોંચ્યા હતા અને કોઇને પણ નોટ અડવાની ના પાડી હતી. નગર નિગમના અધિકારીઓએ નોટને પહેલા સેનિટાઇઝ કરી હતી.


તમામ ચલણી નોટને સેનિટાઇઝ કર્યા બાદ પોલીસ કર્મીઓએ એક-એક કરીને નોટને લાકડીથી ઉઠાવી હતી. બાદમા સાવધાનીપૂર્વક નોટને પોલિથિનમાં રાખી હતી. હાલમાં આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.