નવી દિલ્હીઃ કોરોના સંકટ અને લોકડાઉનને ધ્યાનમાં રાખીને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ)એ અનેક રાહતની જાહેરાત કરી છે. રિવર્સ રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે. હવે રિવર્સ રેપો રેટ 4 ટકાથી ઘટીને 3.75 ટકા થઈ ગયો છે. રિવર્સ રેપો રેટમાં ઘટાડાથી બેંકોને ફાયદો થશે. બેંકોને લોન લેવામાં કોઈ મુશ્કેલી નહીં થાય.


આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે કોવિડ 19થી નાના અને મધ્યમ આકારથી કોર્પોરેટને રોકડની મુશ્કેલી થઈ છે, માટે ટીએલટીઆરઓ 2.0ની જાહેરાત કરવામાં આવી છે. 50,000 કરોડ રૂપિયાથી શરૂઆત કરવામાં આવી રહી છે. ત્યાર બાદ સ્થિતિનું આકલન કરી તેને વધારવામાં આવશે. ટીએલટીઆરો 2.0 અંતર્ગત 50 ટકા કુલ રકમ નાના, મધ્યમ કોર્પોરેટ, એમએફઆઈ, એનબીએફસીને જશે. તેના માટે નોટિફિકેશન આજે જ આવશે.

આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે, નાબાર્ડ, સિડબી, એનએચબીની ભૂમિકા ગ્રામીણ વિસ્તાર અને એનબીએફસી વગેરેના લોનના પ્રવાહ માટે મહત્ત્વપૂર્ણ છે. કોવિડ 19 દરમિયાન આ સંસ્થાઓને બજારથી લોન લેવામાં મુશ્કેલી છે, માટે નાબાર્ડ, સિડબી, એનએચબીને 50,000 કરોડ રૂપિયાનું વધારાનું રિફાઇનાન્સિંગની સુવિધા આપવામાં આવી રહી છે.

આરેબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે શુકર્વારે કહ્યું કે, આઈએમએફે આ સ્થિતિને ગ્રેટ લોક ડાઉન કહ્યું છે અને દુનિયાને 9 ટ્રિલિયન ડોલરનું નુકસાન થવાનો અંદાજ મુક્યો છે. ભારત એવા કેટલાક દેશમાં છે જ્યાં 1.9 ટકા પોઝિટિવ ગ્રોથ જોવા મળશે, જ્યારે જી-20 દેશોનો સૌથી વધારે ગ્રોથ જોવા મળશે.

શક્તિકાંત દાસે કહ્યું કે, નાણાંકીય સ્થિતિ પર આરબીઆઈની નજર છે. કોરોનાથી લડાઈ માટે અમારી સમગ્ર ટીમ લાગેલી છે. અમારા 150 અધિકારી અને કર્મચારી કોરેન્ટાઈન થઈને સેવાઓ આપી રહ્યા છે. નાણાંકીય નુકસાનને ઓછું કરવાનો પ્રયત્ન ચાલુ છે. કૃષિ વિસ્તાર ટકાઉ છે, બફર સ્ટોક છે. આ વર્ષ મોનસૂનનો વરસાદ સારો રહેવાનો અંદાજ છે.