નવી દિલ્હીઃ દેશમાં ફરી એકવાર કોરોના ચેપ ઝડપથી ફેલાઈ રહ્યો છે. લગભગ અઝી મહિના પછી 22 હજારથી વધુ કોરોના કેસ નોંધાયા છે. તેમજ સતત આઠમા દિવસે 15 હજારથી વધુ કેસ આવ્યા હતા.


સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 22,854 કેસ નોંધાયા હતા. જ્યારે 126 લોકોના મોત થયા હતા અને 18,100 લોકો રિકવર થયા હતા. દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 1,12,85,561 પર પહોંચી છે. જ્યારે કુલ રિકવરીનો આંક 1,09,38,146 થયો છે. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 1,89,226 છે. જ્યારે કુલ મૃત્યુઆંક  1,58,189 થયો છે.


ક્યા-ક્યા રાજ્યમાં ઝડપથી વધી રહ્યા છે નવા કેસ


સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, મહારાષ્ટ્ર, પંજાબ, કરણાટક, ગુજરાત, તમિલનાડુ અને કેરળ સહિત દેશના 6 રાજ્યોમાં કોરોનાના દૈનિક કેસ ઝડપથી વધી રહ્યા છે. પંજાબ, કર્ણાટક, ગુજરાત અને તમિલનાડુમાં કોરોનાને લઈને સ્થિતિ ચિંતાજનક છે, જ્યારે કેરળ અને મહારાષ્ટ્રમાં સ્થિતિ ખૂબ જ ખતરનાક બની ગઈ છે. અંદાજે 86 ટકા કેસ માત્ર આ 6 રાજ્યોમાંથી આવી રહ્યા છે. ગંભીર થતી સ્થિતિને જોતા મંત્રાલયે મહારાષ્ટ્ર અને પંજાબમાં ઉચ્ચ સ્તરીય ટીમ મોકલી છે. 


સૌથી વધારે નવા કેસ મહારાષ્ટ્રમાં


મહારાષ્ટ્રમાં સૌથી વધારે નવા કેસ સામે આવી રહ્યા છે અને આ રાજ્યમાં 13,659 નવા કેસ નોંધાયા છે. ત્યાર બાદ કેરળમાં 2316 અને પંજાબમાં 1027 નવા કેસ સામે આવ્યા છે. મંત્રાલય અનુસાર એક દિવસમાં આ મહામારીથી 133 લોકોના મોત થયા છે અને મોતના 77.44 ટકા કેસ પાંચ રાજ્યોમાં જ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં એક દિવસમાં સૌથી વધારે 56 દર્દીના મોત થયા છે. ત્યાર બાદ પંજાબમાં 20 અને કેરળમાં 16 દર્દીના મોત થયા છે. 


દેશમાં કોરોના રસી આપવા ઝુંબેશ 16 જાન્યુઆરીથી શરૂ થઈ હતી. 10 માર્ચ સુધીમાં, દેશભરમાં 2 કરોડ 56 લાખ 85 હજાર સ્વાસ્થ્ય  કર્મચારીઓ, વૃદ્ધો અને કોરોના વોરિયર્સને કોવિડ -19 રસી આપવામાં આવી છે. દેશમાં કોરોના મૃત્યુ દર 1.40 ટકા છે જ્યારે રિકવરી રેટ 97 ટકાની આસપાસ છે. એક્ટિવ 1.64 ટકા છે. કોરોના એક્ટિવ કેસમાં ભારત વિશ્વમાં 12 મા ક્રમે છે.