Coronavirus: શિયાળાની વધતી જતી ઠંડી વચ્ચે ભારતમાં કોરોના વાયરસ વધુ ગંભીર બની રહ્યો છે. દેશમાં જેમ જેમ ઠંડી વધી રહી છે, કોરોના વાયરસના નવા કેસ પણ ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 692 નવા કેસ નોંધાયા છે, જેના કારણે ચિંતા વધી રહી છે.  કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આ માહિતી આપી છે.






કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા તાજેતરના આંકડા અનુસાર, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 692 નવા કેસ નોંધાયા છે, જેનાથી દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 4097 થઈ ગઈ છે. આ સમયગાળા દરમિયાન દેશના વિવિધ રાજ્યોમાં કોવિડ-19ને કારણે કુલ 6 લોકોના મોત થયા છે. મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કારણે બે લોકોના મોત થયા છે, જ્યારે દિલ્હી, કર્ણાટક, કેરળ અને પશ્ચિમ બંગાળમાં એક દર્દીનું મોત થયું છે.


ભારતમાં બુધવારે 24 કલાકમાં કોવિડ-19ના 529 નવા કેસ નોંધાયા હતા. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું હતું કે આ સમયગાળા દરમિયાન દેશમાં કોરોના વાયરસના કારણે 5 લોકોના મોત થયા છે. બુધવારના ડેટા અનુસાર, છેલ્લા 24 કલાકમાં કર્ણાટકમાં કોવિડ-19ના કારણે બે અને ગુજરાતમાં એક દર્દીનું મોત થયું હતું  બાદમાં મહારાષ્ટ્રમાંથી કોરોના વાયરસના કારણે મૃત્યુના બે કેસ નોંધાયા હતા. મહારાષ્ટ્રમાં છેલ્લા ત્રણ મહિનામાં પ્રથમ વખત કોરોનાના કારણે મૃત્યુના કેસ નોંધાયા છે.


કોરોનાના સબ-વેરિઅન્ટ JN.1ના કેટલા કેસ છે?


કોરોનાના નવા સબ-વેરિઅન્ટ JN.1 વિશે વાત કરીએ તો દેશમાં અત્યાર સુધીમાં 110 નવા કેસ નોંધાયા છે. બુધવારે પ્રથમ વખત દેશની રાજધાની દિલ્હીમાં કોવિડ સબ-વેરિઅન્ટ JN.1 નો પહેલો કેસ નોંધાયો હતો. ગુજરાતમાં અત્યાર સુધીમાં JN.1 સબ વેરિઅન્ટના સૌથી વધુ કેસ નોંધાયા છે. ગુજરાતમાં 36, કર્ણાટકમાં 34, ગોવામાં 14, મહારાષ્ટ્રમાં 9, કેરળમાં 6, રાજસ્થાનમાં 4, તમિલનાડુમાં 4, તેલંગણામાં 3 અને દિલ્હીમાં 1 કેસ નોંધાયા છે. આરોગ્ય મંત્રાલયે કહ્યું કે આગામી દિવસોમાં કોરોના અને તેના સબ વેરિઅન્ટના કેસમાં વધારો થઇ શકે છે. રાહતની વાત એ છે કે કોરોનાને કારણે હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા હજુ પણ નિયંત્રણમાં છે.