લખનઉઃ કેન્દ્ર સરકારે તાજેતરમાં જ કહ્યું હતું કે કોરોના વાયરસના કુલ મામલામાં 30 ટકા મામલા તબલીગી જમાત સાથે સંકળાયેલા છે. દિલ્હીના નિઝામુદ્દીન મરકઝમાં સામેલ થયેલા લોકો પૈકી કેટલાકના પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ દેશની અલગ અલગ રાજ્ય સરકાર તબલીગી સાથે સંકળાયેલા લોકોની શોધખોળ કરી રહી છે.


કેટલી રકમનું છે ઈનામ

પોલીસે જમાતીઓને ખુદ સામે આવવા અપીલ કરી રહી છે પરંતુ જો તેમ નહીં કરે તો કાર્યવાહી કરવામાં આવશે. આ દરમિયાન ઉત્તરપ્રદેશના આઝમગઢમાં પોલીસે જમાતીઓની જાણકારી આપનારને 5000 રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરી છે. તબલીગી જમાતમની મરકઝમાં સામેલ થયેલો વ્યક્તિ પોલીસથી છુપાઈને રહેતો હોય તો તમે જાણકારી આપીને આઝમગઢ પોલીસ પાસેથી ઈનામ મેળવી શકો છો.

આઝમગઢ પોલીસે કેમ ભર્યુ આ પગલું

આઝમગઢમાં કોરોના પોઝિટિવ દર્દીની સંખ્યા હાલ ચાર થઈ ગઈ છે અને ચારેય કોરોના પોઝિટિવ નિઝામુદ્દીન મરકઝથી પરત ફર્યા હતા. જેને લઈ આઝમગઢ પોલીસે ઈનામ જાહેર કરવાનું પગલું ભર્યુ છે. આઝમગઢના મુબારકપુરની સરહદને સીલ કરી દેવામાં આવી છે. ડીએમ એનસીપી સિંહે સમગ્ર વિસ્તારને ફાયર બ્રિગેડની ગાડીઓ દ્વારા સેનિટાઇઝ કરવાનો આદેશ આપ્યો છે.

આઝમગઢમાં કોરોનાની કેવી છે સ્થિતિ

આઝમગઢમાં 4000થી વધારે લોકોને ક્વોરન્ટાઈન કરવામાં આવી ચુક્યા છે. જ્યારે 35 જમાતીને અલગ-અલગ હોસ્પિટલોમાં આઈસોલેશન અને ક્વોન્ટાઈન વોર્ડમાં રાખવામાં આવ્યા છે. ઉત્તરપ્રદેશમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 431 છે, જેમાંથી 32 સાજા થઈ ચુક્યા છે જ્યારે ચારના મોત થયા છે.