મુંબઈઃ વિદેશની સાથે હવે દેશમાં પણ કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને આજે 886 થઈ છે. કોરોના વાયરસના કારણે દેશમાં 19 લોકોના મોત થયા છે અને 76 દર્દીઓ સાજા થયા છે. હાલ 792 એક્ટિવ દર્દીઓ છે. જેમની સારવાર દેશની અલગ-અલગ હોસ્પિટલમાં ચાલી રહી છે. આ દરમિયાન મુંબઈમાં શુક્રવારે દોઢ વર્ષના બાળકમાં કોરોના વાયરસના સંક્રમણની પુષ્ટિ થઈ છે.


બાળકને કેવી રીતે લાગ્યો ચેપ


કોર્પોરેશનના અધિકારીના જણાવ્યા મુજબ, નવી મુંબઈમાં કોરોના વાયરસનો આઠમો મામલો છે. બાળકના દાદા મૌલવી છે અને શહેરની એક મસ્જિદમાં ફિલીપાઇન્સના કેટલાક નાગરિકના સંપર્કમાં આવ્યા હતા. જ્યારે મૌલવીમાં કોવિડ-19 સંક્રમણની પુષ્ટિ થઈ ત્યારે તેના પરિવારના સભ્યો અને ઘરેલુ સહાયકના નમૂના પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા.


ક્યાં ચાલી રહી છે બાળકની સારવાર


ટેસ્ટમાં મૌલવીના પુત્ર અને ઘરેલુ સહાયકમાં કોરોના વાયરસ સંક્રમણની પુષ્ટિ થઈ છે. તેમની પત્ની અને પૌત્રના નમૂના બાદમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા. તાજેતરમાં બંને મુંબઈથી પરત ફર્યા હતા. શુક્રવારે મૌલવીના પૌત્રમાં કોરોના વાયરસથી સંક્રમિત થયાની પુષ્ટિ થઈ અને તેને સારવાર માટે કસ્તૂરબા હોસ્પિટલ લાવામાં આવ્યો હતો.


દેશમાં ક્યાં છે કોરોનાના સૌથી વધુ સંક્રમિત દર્દીઓ


કોરોના વાયરસના સૌથી વધુ કેસમાં કેરળમાં થયા છે, જ્યાં 176 લોકો કોરોના વાયરસથી સંક્રમિત છે. મહારાષ્ટ્રમાં 156,કર્ણાટકમાં 64,તેલંગણામાં 59, રાજસ્થાનમાં 50, ઉત્તરપ્રદેશમાં 49, ગુજરાતમાં 47, દિલ્હીમાં 40,પંજાબમાં 38, તમિલનાડુમાં 38,હરિણામાં 33, મધ્યપ્રદેશમાં 30, જમ્મુ-કાશ્મીરમાં 18,લદાખમાં 13, આંધ્રપ્રદેશમાં 12, પશ્ચિમ બંગાળમાં 10, બિહારમાં 9, ચંદિગઢમાં 7,છત્તીસગઢમાં 6 અને ઉત્તરાખંડમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓ છે.