નવી દિલ્હીઃ કોરોનાવાયરસથી દુનિયાના ઘણા દેશો પ્રભાવિત થયા છે અને અત્યાર સુધી બે લાખથી વધારે લોકો સંક્રમિત થયા છે. ભારતમાં કોરોના વાયરસના સંક્રમિત લોકોની સંખ્યા પણ સતત વધી રહી છે. દેશમાં 151 કેસ સામે આવી ચૂક્યા છે. જેમાં 25 વિદેશીઓ છે. ભારતમાં આ વાયરસને કારણે 3 લોકોના મોત થયા છે.


ભારતમાં શું શું બંધ થયું

દિલ્હીઃ એઇમ્સે ઓપડીમાં ઓછા લોકોને આવવાની સલાહ આપી છે. ભારતમાં અમેરિકન દૂતાવાસે તમામ વીઝા સંબંધિત સેવાઓ આગામી નોટિસ સુધી સ્થગિત કરી દીધી છે. સીબીએસઈની ધો.10 અને ધો.12ની પરીક્ષા 31 માર્ચ સુધી સ્થગિત કરી છે. આ સાથે જ જેઈઈ મેઇન્સ અને દેશભરની તમામ યુનિવર્સિટીની પરીક્ષાઓ પણ સ્થગિત કરી દેવાઈ છે.

મહારાષ્ટ્રઃ દેશમાં કોરોનાના સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં છે. માયાનગરી મુંબઈમાં આજથી 50 ટકા બજાર બંધ રહેશે, એટલે કે એક દિવસમાં એક બજાર બંધ રહેશે તો બીજા દિવસે કોઈ અન્ય બજાર. જેમાં શોપિંગ સેન્ટર, નાની દુકાન સામેલ છે. આ નિર્ણય મુંબઈના રસ્તા પર ભીડ ઓછી કરવા માટે લેવામાં આવ્યોછે. જેમાં રસ્તા પર લોકોની ભીડ 50 ટકા રહી જશે. પબ્લિક ટ્રાન્સપોર્ટ ટ્રેનો અને બસોમાં યાત્રીની ક્ષમતા ઓછી કરવામાં આવી છે. 50 ટકા લોકો પ્રમાણે મુંબઈમાં બસ અને ટ્રેન ચાલશે. સ્કૂલ-કોલેજ, જિમ, સ્વીમિંગ પૂલ, સિનેમા હોલ બંધ કરવામાં આવ્યા છે. પબ, ડિસ્કોથેક્સ, ડાન્સબાર, લાઈવ ઓર્કેસ્ટ્રા બાર અને ડીજે મ્યૂઝિક પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. મુંબઈમાં સાર્વજનિક જગ્યા પર થૂકવા પર એક હજાર રૂપિયાનો દંડ લાગશે. ઓફિસમાં 50 ટકા કર્મચારીઓને વક્ર ફ્રોમ હોમનો આદેશ આપવામાં આવ્યા છે.

ગુજરાતઃ ગુજરાતમાં કોરોના વાયરસનો એક પણ પોઝીટિવ કેસ નોંધાયો નથી, તેમ છતાં તકેદારીના ભાગરૂપે મોલ, મલ્ટીપ્લેક્સ, સ્કૂલ-કોલેજો 29 માર્ચ સુધી બંધ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત ઘણા મંદિરોમાં પણ પ્રવેશ મર્યાદીત કરી દેવામાં આવ્યો છે.



રાજસ્થાનઃ મુખ્યમંત્રી અશોક ગેહલોતે કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે સમગ્ર રાજ્યમાં કલમ 144 લાગુ કરી દીધી છે.

વારાણસીઃ ઉત્તર પ્રદેશમાં કોરોના વાયરસના પ્રભાવથી મુસાફરોની સંખ્યામાં ઘટાડો જોતા કાશી મહાકાલ એક્સપ્રેસની સેવા સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. 19 માર્ચથી 1એપ્રિલ સુધી આ લાગુ થશે. આ ગાળા માટે જે મુસાફરોએ ટિકિટ બુક કરાવી છે તેમને પૂરું રિફંડ આપવામાં આવશે.

બિહારઃ તમામ શોપિંગ મોલ, જિમ, સ્વીમિંગ પુલ 31 માર્ચ સુધી બંધ રહેશે. બિહારની તમામ સરકારી સ્કૂલો પણ બંધ રહેશે.

ઉત્તરાખંડઃ કોરોનાના કારણે ઉત્તરાખંડ સચિવાલય એક સપ્તાહ માટે બંધ કરી દેવામાં આવ્યું છે. કર્મચારીઓ ઘરેથી કામ કરશે. મોલ, ધાર્મિક સ્થળો પર બંધ કરી દેવામાં આવ્યા છે.

ઓડિશાઃ પુરી જિલ્લા પ્રશાસને બે દિવસની અંદર ટૂરિસ્ટોને હોટલ ખાલી કરવા કહ્યું છે.



હરિદ્વારઃ ગંગા આરતીમાં આવતા લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી આરતી સ્થળ પર લોકોના પ્રવેશ માટે 31 માર્ચ સુધી પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

નાગપુરઃ તમામ રેસ્ટોરંટ, બાર, શરાબની દુકાન, પાનની દુકાનો 31 માર્ચ સુધી બંધ રહેશે.

Coronavirus: PM મોદી આજે રાત્રે 8 કલાકે દેશને સંબોધન કરશે, વાયરસનો સામનો કરવાના પ્રયત્નો પર કરશે ચર્ચા