નવી દિલ્હીઃ દેશમાં વધી રહેલા કોરોના વાયરસના મામલા અને તેના કારણે અર્થતંત્રને થઈ રહેલા નુકસાન છતાં આ મહામારી સામે લડવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિશ્વભરમાં પ્રશંસા થઈ છે. કોરોના વાયરસ સંકટ વચ્ચે પીએમ મોદીની લોકપ્રિયતા વિશ્વભરના તમામ નેતાઓમાં સૌથી ઊંચા સ્તર પર પહોંચી ગઈ છે.


ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ પ્રમાણે, થોડા સમય પહેલા પીએમ મોદીની લોકપ્રિયતા રેટિંગ 80 ટકાના સ્તર પર હતી અને હવે તે 90 ટકા પર પહોંચી ગઈ છે. ખાસ વાત એ છે કે પીએમ મોદીની લોકપ્રિયતા રેટિંગ વિશ્વમાં બે સૌથી મોટા શક્તિશાળી રાષ્ટ્ર અધ્યક્ષ ડોનાલ્ડ ટ્રમ્પ અને વ્લાદિમીર પુતિન કરતા પણ વધારે છે.

દેશમાં વિવિધ રાજકીય મુદ્દાઓ હોવા છતાં કોરોના સંક્ટ વચ્ચે કેન્દ્ર સરકારે લીધેલા પગલાથી દેશમાં કોરોનાને ઝડપથી ફેલાતો અટકાવી શકાયો. આ ઉપરાંત વિદેશોમાં ફસાયેલા ભારતીયોને વતન પરત લાવવા માટે સરકારે વિશેષ અભિયાન ચલાવ્યું. જેના કારણે પીએમ મોદીની લોકપ્રિયતા વધી છે.

એક સર્વે પ્રમાણે જો દેશમાં કોરોના વાયરસને લઈ આવો જ માહોલ ચાલુ રહેશે તો બીજેપી અને પીએમ મોદીની લોકપ્રિયતા વધી શકે છે. ગત વર્ષે લોકસભા ચૂંટણી દરમિયાન પાકિસ્તાન સામે ચલાવેલા અભિયાનના કારણે મોદીની લોકપ્રિયતામાં વધારો થયો હતો.

જોકે, ખાસ વાત એ છે કે કોરોના સંકટમાં વિશ્વભરના નેતાની લોકપ્રિયતામાં ઉછાળો જોવા મળ્યો છે. કોરોના વાયરસનો પ્રકોપ વધવાની સાથે લીડર્સ પ્રત્યે જનતાનો ભરોસો પણ વધ્યો છે. અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે ભારતને આત્મનિર્ભર બનાવવા માટે 20 લાખ કરોડ રૂપિયાનું આર્થિક પેકેજ દેશને ઉગારવા માટે પૂરતું છે.