મુંબઈઃ દેશભરમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધી રહી છે. હાલ દેશમાં કોરોનાના પોઝિટિવ કેસોની સંખ્યા 570ને પાર કરી ગઈ છે અને 11 લોકોના મોત થયા છે. જ્યારે 46 લોકો સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા છે. કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત મહારાષ્ટ્ર અને કેરળ છે.


મહારાષ્ટ્રમાં 112 અને કેરલમાં 105 કેસો સામે આવ્યા છે.  આ દરમિયાન મહારાષ્ટ્રના સાંગલીમાં એક જ પરિવારના 5 લોકો કોરોનાથી સંક્રમિત મળ્યા છે. કોરોનાથી બચવા દેશમાં છેલ્લા થોડા દિવસોથી માસ્કની માંગમાં ઘણો વધારો થયો છે અને ઘણા લોકો તેની સંગ્રહખોરી કરી કાળાબજાર પણ કરતા હોય છે.

માસ્કની કિંમત છે 15 કરોડ રૂપિયા

આ દરમિયાન મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે જણાવ્યું કે, પોલીસે મુંબઈના અંધેરી અને ભિવંડીમાં આવેલા ગોડાઉનોમાં દરોડા પાડીને 25 લાખ માસ્ક જપ્ત કર્યા છે. જેમાં N95 માસ્ક પણ સામેલ છે. જપ્ત કરવામાં આવેલા માસ્કની કિંમત 15 કરોડ રૂપિયા છે.

કેટલા લોકોની ધરપકડ કરવામાં આવી ?

અનિલ દેશમુખે એમ પણ કહ્યું કે, આ મુદ્દે ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે બે લોકો ફરાર થઈ ગયા હતા. માસ્કને કાળા બજારમાં વેચવા માટે રાખવામાં આવ્યા હતા.