મુંબઈઃ દેશભરમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધી રહી છે. હાલ દેશમાં કોરોનાના પોઝિટિવ કેસોની સંખ્યા 570ને પાર કરી ગઈ છે અને 11 લોકોના મોત થયા છે. જ્યારે 46 લોકો સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા છે. કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત મહારાષ્ટ્ર અને કેરળ છે.


મહારાષ્ટ્રમાં 112 અને કેરલમાં 105 કેસો સામે આવ્યા છે.  આ દરમિયાન મહારાષ્ટ્રના સાંગલીમાં એક જ પરિવારના 5 લોકો કોરોનાથી સંક્રમિત મળ્યા છે.

ભારતમાં કોરોનાની વધી રહેલી સ્થિતિને ધ્યાનમાં લઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે દેશભરમાં 21 દિવસ સુધી લોકડાઉનની જાહેરાત કરી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી ગાઈડલાઈન અનુસાર 15 એપ્રિલ સુધી લોક ડાઉન દરમિયાન તમામ જીવનજરૂરી વસ્તુઓની દુકાનો ખુલી રાખવાની છૂટ આપવામાં આવી છે જેથી લોકોને જરૂરી સામાન રોજ મળી શકે. માટે દુકાનો પર પેનિક કરીને સામાનની ખરીદી કરવાની જરૂરત નથી. પીએમ મોદીએ પણ ટ્વીટ કરીને આ વાત કહી છે.

પીએમ મોદીએ ટ્વીટ કર્યું, ‘મારા દેશવાસીઓ, પેનિક થવાની કોઈ જરૂરત નથી. જરૂરી વસ્તુઓ, દવાઓ વગેરે ઉપલબ્ધ હશે. કેન્દ્ર અને જુદી જુદી રાજ્ય સરકાર એ સુનિશ્ચિત કરવા માટે સમન્વય કરીને કામ કરશે. સાથે મળીને આપણે COVID -19 સામે લડીશું અને એક સ્વસ્થ ભારત બનાવીશું.’

કઈ સુવિધા મળશે?

કેમિસ્ટની શૉપ, મેડિકલ ઇક્વિપમેન્ટની દુકાનો, લેબ અને રાશનની દુકાનો ખુલ્લી રહેશે. ડૉક્ટરનાં ત્યાં જવાની પરવાનગી હશે. હૉસ્પિટલ, ડિસ્પેન્સરી, ક્લિનિક, નર્સિંગ હોમ ચાલુ રહેશે. જનવિતરણ પ્રમાણીવાળી અને રાશનની દુકાનો ચાલુ રહેશે. ફળો, શાકભાજી, ડેરી અને દૂધ, મીટ અને માછલી, ચારાની દુકાનો ખુલ્લી રહેશે.

શું બંધ રહેશે?

મૉલ, હૉલ, જિમ, સ્પા, સ્પોર્ટ્સ ક્લબ, તમામ રેસ્ટોરન્ટ, દુકાનો, શિક્ષણ સંસ્થાઓ, ટ્રેનિંગ, રીસર્ચ, કોચિંગ સંસ્થાઓ, ધાર્મિક અને પૂજાસ્થળો બંધ રહેશે. આ ઉપરાંત તમામ પ્રકારનાં પબ્લિક ટ્રાન્સપોર્ટ બંધ થશે. બસ અથવા ટ્રેન સેવાઓ નહીં ચાલે. અંતિમ સંસ્કારની સ્થિતિમાં 20થી વધારે લોકોનાં સામેલ થવાની પરવાનગી નહીં હોય.

શું છે સંપૂર્ણ રીતે બંધ?

તમામ ફેક્ટરીઓ, વર્કશોપ, ઑફિસ, ગોડાઉન, અઠવાડિયા ભરાતા માર્કેટ, કેન્દ્ર અને રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની તમામ ઑફિસો, ઑટોનોમસ/સબઑર્ડિનેટ ઑફિસ અને પબ્લિક કૉર્પોરેશન બંધ રહેશે. કમર્શલ અને પ્રાઇવેટ સંસ્થાઓ બંધ રહેશે.

કઈ સેવા કાર્યરત રહેશે?

ડિફેન્સ, કેન્દ્રિય સશસ્ત્ર પોલીસ દળ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, વીજળી ઉત્પાદન અને ટ્રાન્સમિશન યૂનિટ, પોસ્ટ ઑફિસ, નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર, પૂર્વાનુમાનની એજન્સીઓ ખુલ્લી રહેશે. પોલીસ, હોમગાર્ડ, સિવિલ ડિફેન્સ, ફાયર અને ઇમર્જન્સી સર્વિસ, જેલ, જિલ્લા વહીવટી તંત્ર અને ટ્રેઝરી, વીજળી, પાણી તેમજ સેનિટેશનનું કામ થતુ રહેશે.

બેંક, વીમા ઑફિસો, એટીએમ ખુલ્લા રહેશે. પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા કામ કરતું રહેશે. ટેલિકોમ્યૂનિકેશન, ઇન્ટરનેટ સેવાઓ, બ્રોડકાસ્ટિંગ અને કેબલ, આઈટી સેવાઓમાં કામ થતુ રહેશે, પરંતુ જેટલું થઈ શકે વર્ક ફ્રોમ હોમ કરવાનું હશે.