મુંબઈઃ મહારાષ્ટ્રમાં કોરોનાએ ફરી એક વખત યુ ટર્ન લીધો છે. રાજ્યમાં કોરોનાના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. આ દરમિયાન મહા વિકાસ અઘાડી સરકારમાં મંત્રી અને એનસીપી નેતા છગન ભુજબળનો કોરોના પોઝિટિવ આવ્યો છે. તેઓ ગઈકાલે શરદ પવાર સાથે એક લગ્ન સમારોહમાં સામેલ હતા.


કોરોના પોઝિટિવ આવ્યા બાદ છગન ભુજબળે તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોને ટેસ્ટ કરાવવાની સલાહ આપી છે. તેમણે કહ્યું, મારી તબિયત ઠીક છે. તમામ લોકો પોતાનો ખ્યાલ રાખજો. અત્યાર સુધીમા ઉદ્ધવ કેબિનેટના મંત્રી જયંત પાટીલ, બચ્ચુ કુજુ, રાજેંદ્ર શિંગને, રાજેશ ટોપે કોરોના સંક્રમિત થઈ ચુક્યા છે અને હવે   આ લિસ્ટમાં ભુજબળનો સમાવેશ થયો છે.



મહારાષ્ટ્રમાં રવિવારે કોરોનાના 6971નવા કેસ આવ્યા હતા. જે બાદ રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 21 લખને પાર થઈ ગઈ છે. રાજ્યમા ત્રણ મહિના બાદ શુક્રવારે 6 હજારથી વધારે કેસ નોંધાયા હતા. જે બાદ કેસની સંખ્યા વધી રહી છે. મહારાષ્ટ્રમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 54,149 છે અને તેમાં છેલ્લા 24 કલાકમાં 4519નો વધારો થયો છે. અત્યાર સુધીમાં 19,94,947 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.છેલ્લા 24 કલાકમાં 35 લોકોના મોત સાથે રાજ્યમાં કોરોનાથી મૃત્યુઆંક 51788 પર પહોંચ્યો છે. આજથી મહારાષ્ટ્રમાં રાજકીય, ધાર્મિક અને સામાજિક બેઠકો પર પ્રતિબંધ લગાવાની જાહેરાત કરાઈ છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથોસાથ જનતાને કહ્યું છે કે માસ્ક પહેરો અને લોકડાઉન ટાળો. જો પરિસ્થિતિ નહીં સુધરે તો લોકડાઉન પણ લગાવવામાં આવી શકે છે.