મુંબઈઃ દેશમાં કોરોનાનું સંક્રમણ દિવસે ને દિવસે વધી રહ્યું છે. ભારતમાં કોરોના સંક્રમણના લિસ્ટમાં મહારાષ્ટ્ર ટોચ પર છે. દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. આ દરમિયાન મુંબઈનો થાણે જિલ્લો નવો હોટસ્પોટ બનતો નજરે પડી રહ્યો છે.  રિપોર્ટ પ્રમાણે થાણેમાં દરરોજના 2000થી વધારે કેસ સામે આવી રહ્યા છે.


ઈન્ડિયા ટુડેના રિપોર્ટ પ્રમાણે થાણે જિલ્લાએ ચેન્નાઈને પણ પાછળ રાખી દીધો છે. અહીંયા દર 18 દિવસે કોરોના દર્દીની સંખ્યા બમણી થઈ રહી છે. થાણેમાં અત્યાર સુધીમાં 57,000થી વધારે કેસ સામે આવી ચુક્યા છે. જે બાદ સરકારી સ્તર પર તેને રોકવાની રણનીતિ બનાવામાં આવી છે.

થાણેમાં કોરોના સંક્રમણના ખતરાને જોતાં 19 જુલાઈ સુધી લોકડાઉન લાગુ કરી દેવામાં આવ્યું છે. આ પહેલા પણ ત્યાં લોકડાઉન લાગુ હતું પરંતુ હવે ત્યાં વધારે કડકાઈ દાખવવામાં આવી રહી છે. જરૂરી વસ્તુઓને બાદ કરતાં તમામ ચીજો માટે લોકલાઉડ લાગુ કરી દેવામાં આવ્યું છે.

થાણે જિલ્લો મહારાષ્ટ્રમાં સત્તારૂઢ શિવસેનાનો ગઢ માનવામાં આવે છે. શિવસેનાના અગ્રણી નેતા અને મંત્રી એકનાથ શિંદે આ વિસ્તારમાંથી આવે છે. આ ઉપરાંત અહીંયાની મોટાભાગની નગર પાલિકા પર શિવસેનાનો કબજો છે.

મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 2,60,924 પર પહોંચી છે. 10,482 લોકોના મોત થયા છે અને 1,44,507 લોકો સાજા થઈ ગયા છે. હાલ રાજ્યમાં 1,05,935 એક્ટિવ કેસ છે.