નવી દિલ્હી: કોરોના વાયરસે દુનિયામાં કહેર વર્તાવ્યો છે. ભારતમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા દોઢ લાખને પાર પહોંચી ગઈ છે. હવે દુનિયામાં સૌથી વધુ કેસ મામલે ભારતનું સ્થાન 10માંથી 9માં નંબરે આવી ગયું છે. શુક્રવારે ભારતે તુર્કીને પાછળ પાડી દીધું છે. આ પહેલા 24 મેના રોજ ઈરાનનથી આગળ નીકળી 11થી 10માં ક્રમાંકે આવ્યું હતું.


ભારતમાં છેલ્લા 24 કલાકમાં 7466 નવા કેસ સામે આવ્યા છે. જે અત્યાર સુધીનો એક દિવસમાં સંક્રમણનો સૌથી મોટો આંકડો છે. ભારતમાં અત્યાર સુધી એક લાખ 65 હજાર 799 કેસ નોંધાયા છે, જ્યારે 4706 લોકોનાં મોત થયા છે અને 71 હજાર 106 લોકો સ્વસ્થ થયા છે. તુર્કીમાં કુલ કેસ 1 લાખ 60 હજાર છે. ભારતની ઉપર આઠ દેશ છે, જેમાં જર્મની , ફ્રાન્સ, ઈટાલી, બ્રિટન, સ્પેન, રશિયા, બ્રાઝિલ અને અમેરિકા છે. જેટલી ઝડપથી કોરોનાના આંકડા વધી રહ્યા છે. તે પ્રમાણે 4-6 દિવસમાં ફ્રાન્સ અને જર્મનીને પછાડી ભારત 7માં ક્રમાંકે પહોંચી શકે છે.

એક્ટિવ કેસ મામલે 5માં નંબરે ભારત

એક્ટિવ કેસ મામલે પણ દુનિયાભરમાં ભારતની સ્થિતિ સારી નથી. કોરોના સંક્રમિત દુનિયાના 213 દેશોમાંથી ભારત પાંચમો એવો દેશ છે જ્યાં સૌથી વધુ સંક્રમિત દર્દીઓ છે અને તેમની સારવાર ચાલી રહી છે. ભારતમાં કુલ 1.65 લાખ સંક્રમિત દર્દીઓમાંથી 89 હજાર 987 દર્દીઓ કોરોનાગ્રસ્ત છે અને તેમની સારવાર ચાલી રહી છે. ભારત બાદ સૌથી વધુ એક્ટિવ કેસ ફ્રાન્સ, બ્રાઝિલ, રશિયા અને અમેરિકામાં છે.

રિકવર કેસ મામલે 10માં ક્રમાંકે ભારત

ભારતમાં અત્યાર સુધી 71,106 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. પરંતુ આ સંખ્યા મામલે ભારત દુનિયમાં 10માં ક્રમાંકે છે. ભારતમાં રિકવરી રેટ 42 ટકા છે. ઈરાન, તુર્કી, જર્મની, સ્પેનની તુલનામાં ભારતનો આ રિકવરી રેટ ખૂબજ ઓછો છે. આ દેશમાં 50-90 ટકા સુધી લોકો કોરોનાથી સ્વસ્થ થયા છે. જ્યારે ભારત ચીનના મૃતકોની સંખ્યાને પાર કરી ગયું છે.