નવી દિલ્હીઃ દુનિયાભરમાં ફેલાયેલા કોરોના વાયરસ વિરુદ્ધ લડાઇને લઇને ભારતે નવી શરૂઆત કરી છે. સાર્ક દેશોની વીડિયો કોન્ફરન્સમાં ભારતે કોરોના વાયરસનો સામનો કરવા માટે એક ઇમરજન્સી ફંડનો પ્રસ્તાવ મુક્યો છે. સાર્ક દેશોની વીડિયો કોન્ફરન્સ દરમિયાન વડાપ્રધાન મોદીએ સાર્ક દેશોએ 74 કરોડ રૂપિયાના ફંડનો પ્રસ્તાવ આપ્યો છે. આ ફંડનું નામ COVID19 ઇમરજન્સી ફંડ હશે. ભારત શરૂમાં આ ફંડમાં 10 મિલિયન ડોલર એટલે કે 74 કરોડ રૂપિયા આપશે. વડાપ્રધાન મોદીએ સાર્ક દેશના નેતાઓ અને પ્રતિનિધિઓએ કોરોના વાયરસનો સામનો કરવા માટે રણનીતિ બનાવવાને લઇને વીડિયો કોન્ફરન્સમાં ભાગ લીધો હતો.






કોરોના વાયરસને લઇને સાર્ક દેશોના વીડિયો કોન્ફરન્સમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે હું 'કોવિડ-19 ઇમરજન્સી ફંડ' બનાવવાનો પ્રસ્તાવ રજૂ કરું છું. આ સ્વૈચ્છિક યોગદાન પર આધારિત હશે અને ભારત આ ફંડ માટે 10 મિલિયન અમેરિકન ડોલર એટલે કે 74 કરોડ રૂપિયા આપીને શરૂઆત કરશે. આ અગાઉ વડાપ્રધાન મોદીએ કહ્યું કે, સાર્ક ક્ષેત્રમાં કોરોના વાયરસથી સંક્રમણથી લગભગ 150 કેસ આવ્યા છે પરંતુ આપણે સતર્ક રહેવાની જરૂર છે. તૈયાર રહો પરંતુ ગભરાવો નહી... આ આપણો મંત્ર છે.