નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ ભવન, રાજ્યસભા બાદ નાગરિક ઉડ્ડયન મંત્રાલયનો એક કર્મચારી કોરોના વાયરસથી સંક્રમિત મળી આવ્યો છે. મંત્રાલયે બુધવારે જણાવ્યું કે, 15 એપ્રિલના રોજ ઓફિસે આવેલા મંત્રાલયના એક કર્મચારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સંક્રમિત કર્મચારીના સંપર્કમાં આવેલા તમામ લોકોને સાવધાનીના ભાગરૂપે ક્વોરેન્ટાઈન થવાનું કહેવામાં આવ્યું છે. આ ઉપરાંત નાગરિક ઉડ્ડયન મંત્રાલયના રાજીવ ગાંધી ભવનને પણ સીલ કરી દેવામાં આવ્યું છે.


મંત્રાલયે ટ્વિટ કરીને લખ્યું, 15 એપ્રિલે કાર્યાલયમાં આવેલા મંત્રાલયનો એક કર્મચારી 21 એપ્રિલે કોરોના વાયરસથી સંક્રમિત મળી આવ્યો છે. પરિસરમાં તમામ જરૂરી દિશા-નિર્દેશોનું કડકાઈથી પાલન કરવામાં આવી રહ્યું છે.

નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું, કોરોના વાયરસથી સંક્રમિત મળી આવેલા કર્મચારી સાથે અમે ઉભા છીએ. તેને શક્ય તમામ સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. જે લોકો સંક્રમિત કર્મચારીના સંપર્કમાં હતા તેઓ જરૂરી દિશા નિર્દેશોનું પાલન કરે. હું તેના ઝડથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું.



દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, દેશભરમાં કોરોના પોઝિટિવ મામલાની કુલ સંખ્યા 19,984 થઈ છે, જેમાંથી 15,474 સક્રિય છે. 3870 લોકો સ્વસ્થ થઈ ગયા છે અને 640 લોકોના મોત થયા છે.